29 December 2014

Pulses price may be rise 5 to 15 % in 2015

નવા વર્ષે ચણા સહિતનાં કઠોળનાં ભાવ ૫થી ૧૫ ટકા વધવાની ધારણાં

-દેશમાં ખરીફ બાદ રવિ સિઝનમાં પણ વાવેતર ઘટતા ઉત્પાદન ઘટવાનો અંદાજ
ચણા સહિતનાં કઠોળ પાકોમાં અત્યારે એકધારી તેજી જોવા મળી રહી છે. દેશમાં ચાલુ વર્ષે વાવેતર ઓછું થત્તા ઉત્પાદન ઘટ્યું હોવાથી તેજી જોવા મળી રહી છે. જાણકારોનાં મતે નવા વર્ષે ૨૦૧૫માં પણ ચણા સહિતનાં કઠોળ પાકોમાં પાંચથી ૧૫ ટકાનો વધારો થાય તેવી ધારણાં છે.
ઈન્ડિયન પલ્સીસ એન્ડ ગ્રેઈન એસોસિયેશનનાં પ્રમુખ પ્રવીણ ડોંગરે જણાવ્યું હતું કે ખરીફ સિઝનમાં સરેરાશ કઠોળનું ઉત્પાદન ૧૦ લાખ ટન ઘટ્યું હોવાનો અંદાજ છે અને રવિ સિઝનમાં પણ વાવેતર ઘટ્યું છે. પરિણામે તમામ કઠોળનાં ભાવ વધ્યાં છે. ૨૦૧૫નાં વર્ષમાં પણ ચણાનાં ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો થાય તેવી ધારણાં છે. જ્યારે વટાણા, તુવેર અને અડદ સહિતનાં અન્ય કઠોળમાં પાંચથી ૧૦ ટકાનો વધારો જોવા મળી શકે છે.
રવિ સિઝનમાં મુખ્ય કઠોળ પાક એવા ચણાનાં ભાવમાં તાજેતરમાં ઝડપી તેજી જોવા મળી છે. છેલ્લા ત્રણ મહિનામાં ભાવ ૨૬ ટકા વધીને રૃા.૩૫૦૦ની નજીક વાયદામાં પહોંચ્યાં છે. પ્રવીણ ડોંગરેનું કહેવું છેકે ખેડૂતોને ચણાનાં ભાવ પૂરતા મળતા ન હોવાથી તેઓ અન્ય પાક તરફ વળી રહ્યાં છે. ચણાનાં ટેકાનાં ભાવ રૃા.૩૧૭૫ છે અને તેની ઉત્પાદન પડતર જ રૃા.૨૯૫૦ થાય છે. ખેડૂતોને આટલા ભાવ પણ મળતા નથી.
તેમણે કહ્યું કે અમે સરકારને રજૂઆત કરી છેકે સરકાર દ્વારા પીડીએસ (પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ) માટે ચણા સહિતની કઠોળની ખરીદી કરવામાં આવે અને ટેકાનાં ભાવની સિસ્ટમ મારફતે બફર સ્ટોક પણ અનાજની જેમ ઊભો કરવામાં આવે તે જરૃરી છે.
ઉલ્લેખનીય છેકે દેશમાં ચાલુ વર્ષે ૨૬મી ડિસેમ્બર સુધીમાં કઠોળનું વાવેતર ૧૨૪ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧૩૫ લાખ હેકટરમાં થયું હતું. ચણાનું વાવેતર પણ ૯૧ લાખ હેકટરથી ઘટીને ૭૭.૮૧ લાખ હેકટરમાં થયું છે. ચણાનું ઉત્પાદન સરેરાશ ચાલુ વર્ષે ૧૫થી ૨૦ ટકા ઘટે તેવો અંદાજ છે.
ચીનમાં મગનું ઉત્પાદન ૨૦ ટકા ઘટવાનો અંદાજ
વિશ્વમાં ભારતને કઠોળ પુરૃ પાડવામાં પાંચમા સ્થાને રહેતા ચીનમાં પણ કેટલાક કઠોળનાં ઉત્પાદનમાં ચાલુ વર્ષે ઘટાડો થાય તેવી ધારણાં છે. ચીનમાં મગનું ઉત્પાદન ચાલુ વર્ષે ૨૦ ટકા ઘટીને ૬ લાખ ટન થાય તેવી ધારણાં છે. ચીનમાં રાજમાનું ઉત્પાદન વધવાને કારણે કુલ કઠોળનું ઉત્પાદન પાંચ ટકા વધીને ૪૨ લાખ ટન થાય તેવી ધારણાં છે.

ભારત કેનેડા, બર્મા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ સૌથી વધુ કઠોળની આયાત ચીનથી કરે છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતે ચીનથી કુલ ૧.૯ લાખ ટન કઠોળની આયાત કરી હતી, જે ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધીમાં ૯૫ હજાર ટનની આયાત કરી છે.
(Date 27 dec.2014)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...