ઘઉંની નિકાસ
માટે સોનેરી તક , જુલાઈ સુધીમાં ૨૦ લાખ ટન નિકાસનો અંદાજ
રશિયા-યૂક્રેન દ્વારા નિકાસ નિયંત્રણોથી ભારતીય ઘઉંની
નિકાસને વેગ મળશે
ભારતીય ઘઉંની નિકાસ માટે સોનેરી તક આવી રહી છે. રશિયા અને
યૂક્રેન જેવા કાળા સમુદ્રનાં દેશોઓ નિકાસ ઉપર નિયંત્રણો લાદતા ભારતમાંથી જુલાઈ
મહિના સુધીમાં કુલ ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ થાય તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી
રહ્યાં છે.
વિશ્વમાં છેલ્લા ત્રણ મહિનામાં ઘઉંનાં ભાવમાં ૨૦ ટકાનો
ઉછાળો આવ્યો છે. રશિયા પહેલી ફેબ્રુઆરીથી ઘઉંની નિકાસ ઉપર ૪૧ ડોલર પ્રતિ ટનની
નિકાસ ડ્યૂટી લાદી છે. યૂક્રેને પણ કોઈ પણ નિકાસકાર માટે બે લાખ ટનની મર્યાદામાં જ નિકાસની છૂટ આપી છે.
નવી દિલ્હી સ્થિત એક વૈશ્વિક ટ્રેડિંગ કંપનીનાં અધિકારીએ
જણાવ્યું હતું કે ભારત એક એવી જગ્યાએ છેકે તેને રશિયાનાં નિયંત્રણનો મોટો લાભ
મળશે. ફેબ્રુઆરીથી જુલાઈ મહિનાનાં સમયગાળામા ભારતમાંથી કુલ ૨૦ લાખ ટનની ઘઉંની
નિકાસ થાય તેવી ધારણાં છે.
સિંગાપોરનાં એક ટ્રેડરે કહ્યું કે ઈન્ડોનેશિયા, વિયેતનામ, મલેશિયા અને બાંગ્લાદેશ ઓછા શિપિંગ
ભાડાંને કારણે યુરોપિયન દેશોને બદલે ભારતમાંથી ખરીદી કરે તેવી ધારણાં છે. એશિયન ખરીદદારોને
ભારતમાંથી ઘઉંની ખરીદીમાં ટને ૧૨થી ૧૫ ડોલરનું જ ભાડું લાગે છે, જેની સામે યૂક્રેનથી ૩૦ ડોલર જેટલું ભાડું લાગે છે.
ટ્રેડરો કહે છે કે સરકાર માટે પણ સારી તક છેકે પોતાનાં ૨૫૧
લાખ ટનનાં રિઝર્વ સ્ટોકને ઘટાડવા માટે નિકાસ ટેન્ડર જાહેર કરી શકે છે. જોકે સરકાર
દ્વારા હજુ નિકાસ માટે કોઈ જ નિર્ણય લેવાયો નથી. સરકાર ખેડૂતો પાસેથી સરેરાશ ૨૩૦
ડોલર પ્રતિ ટનનાં ભાવથી ઘઉં ખરીદે છે.
વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંનાં ખાનગી ટ્રેડરો અત્યારે ૨૭૦
ડોલર એફઓબી ભાવ ક્વોટ કરે છે. જ્યારે ફ્રેચ ઘઉંનાં ભાવ ૨૪૮થી ૨૫૦ ડોલર અને
ઓસ્ટ્રેલિયન સ્ટાન્ડર્ડ ઘઉંનાં ૨૭૦ ડોલર અને યુક્રેન મિલબર ઘઉંનાં ૨૬૫ ડોલરનાં ભાવ
ક્વોટ થઈ રહ્યાં છે.
સિંગાપોરનાં એક
ટ્રેડરે કહ્યું કે એશિયન દેશો માટે ભારતીય ઘઉં વધુ આકર્ષક છે, કારણ કે ભાડું પણ ઓછું લાગે છે અને ડિલીવરીનો
સમય પણ બચી જાય છે. પરિણામે આગામી દિવસોમાં લાખો ટન ભારતીય ઘઉંની માંગ નીકળે તેવી સંભાવનાં
છે.
મધ્યપ્રદેશમાં
ઘઉંનું રેકર્ડબ્રેક ૨૦૫ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ
દેશમાં ઘઉંનાં ટોચનાં ઉત્પાદક રાજ્ય એવા મધ્યપ્રદેશમાં ચાલુ
વર્ષે ઘઉંનું રેકર્ડબ્રેક ઉતપાદન થવાનો અંદાજ સરકારે મૂક્યો છે. રાજ્ય સરકારનાં
મતે ચાલુ વર્ષે કુલ ૨૦૫.૨ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થશે, જે ગત વર્ષે ૧૭૪.૭
લાખ ટન થયું હતું.
મધ્યપ્રદેશમાં ઉત્પાદન વધારવા અંગે સરકારે જણાવ્યું હતું કે
ચાલુ વર્ષે રવિ સિઝનમાં વાતાવરણ અનુકૂળ રહેતા અને વરસાદ પણ સારો પડ્યો હોવાથી
ઉતારા પણ વધ્યાં છે, જેને કારણે ચાલુ વર્ષે ઉત્પાદન પંજાબથી પણ
વધારે થાય તેવી ધારણાં છે. આ સાથે મધ્યપ્રદેશ ઘઉંનું ટોચનું ઉત્પાદક રાજ્ય પણ
બનશે.
મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે ૫૬.૬ લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર
થયું છે, જે ગત વર્ષે ૫૮.૭૪ લાખ હેકટરમાં થયું હતું.
રાજ્ય સરકારે કુલ ૬૦ લાખ હેકટર વાવેતરનો લક્ષ્યાંક રાખ્યો હતો. વાવેતર ઘટ્યું છે,
પરંતુ ઉતારા વધતા કુલ ઉત્પાદનમાં વધારો જોવા મળશે.
(Date 15 Jan.2015)
No comments:
Post a Comment