07 October 2020

જાણો ગુજરાતમાંથી આ વર્ષે કઈ કોમોડિટીની કેટલી ટેકાનાં ભાવથી ખરીદી થશે? અને ક્યારે?

દિપક મહેતાઃ કેન્દ્ર સરકાર ચાલુ વર્ષે પાસ કરેલા ત્રણ કૃષિ બિલનો દેશભરમાં વિરોધ વધ્યો છે ત્યારે કેન્દ્રએ તમામ રાજ્યોને ટેકાનાં ભાવથી પૂરતી માત્રામાં ખરીદી કરવાની સૂચના આપી છે, જેના અનુસંધાને ગુજરાત સરકારે  કેબિનેટની બેઠકમાં રાજ્યમાંથી આ વર્ષે ખરીફ સિઝનમાં ટેકાનાં ભાવની યોજનામાં સામેલ તમામ કોમોડિટીની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે અને તમામ ખરીદીની કામગિરી પુરવઠા નિગમને માથે નાખી છે. જોકે નિગમ પાસે મેનપાવરની અછત હોવાથી ટેકાનાં ભાવની ખરીદી અપૂરતી થાય તેવી પણ સંભાવનાં છે. કપાસની ખરીદી એક માત્ર કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા શરૂ કરશે, જેને પણ પહેલી ઓક્ટોબરથી સાઉથથી ખરીદી શરૂ કરી દીધી છે, પરંતુ ગુજરાતમાં ઓક્ટોબર અંત કે નવેમ્બરની શરૂઆતમાં શરૂ થઈ શકે છે.

ગુજરાત સરકાર ૧૬મી ઓક્ટોબરથી ડાંગર અને બાજરી-મકાઈની ખરીદી શરૂ કરશે, જ્યારે બીજી નવેમ્બરથી સોયાબીન અને અડદ-મગની ખરીદી શરૂ કરવામાં આવશે. મગફળીની ખરીદીની જાહેરાત અગાઉથી જ ૨૧મી ઓક્ટોબરથી કરવાની થઈ ગઈ છે.

ગુજરાત સરકારે રાજ્યનાં પહેલા આગોતરા અંદાજનાં ૨૫ ટકા લેખે સાતેય ખરીફ પાકોની રાજ્યમાંથી વધુમાં વધુ ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને એ મુજબ કેન્દ્ર સરકારે મંજૂરી પણ આપી દીધી છે. ગુજરાતમાં હાલ સાતેય કોમોડિટીમાંથી મગ-અડદનાં ભાવ ટેકાનાં ભાવથી ઉપર ચાલી રહ્યા છે, પંરતુ એ સિવાયની તમામ કોમોડિટીમાં ભાવ નીચા છે.

ગુજરાત સરકારે સોયાબીન અને કઠોળની ખરીદીની જાહેરાત કરી છે, પંરતુ રાજ્યમાંથી બહુ ઓછી માત્રામાં ખરીદી થાય તેવી સંભાવના છે. ખેડૂતો ટેકાનાં ભાવ અને બજાર ભાવ વચ્ચે થોડો તફાવત હોય તો પહેલી પસંદગી ખુલ્લા બજારમાં વેચાણ કરવાનું પસંદ કરે છે.

ગુજરાત સરકારે ગત વર્ષે ડાંગર અને અનાજની ખરીદી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ બાજરી કે મકાઈની કોઈ ખરીદી જ થઈ નહોંતી, જ્યારે ડાંગરની ૨૧૨૬૩ ટનની ખરીદી થઈ હતી. ચાલુ વર્ષે ત્રણેય કોમોડિટીનાં ભાવ ટેકાં ભાવથી ખૂબજ નીચા છે ત્યારે સરકાર કેટલી ખરીદી કરે છે તેનાં ઉપર નજર છે.

ગુજરાત સરકારે રાજ્યમાં દરેક પાકનો ઉત્પાદનનો અંદાજ જાહેર કર્યો છે અને તેનાં ૨૫ ટકા લેખે ખેડૂતો પાસેથી ખરીદી થશે, જેમાં હેકટરદીઠ ઉતારો નક્કી થયો છે એ મુજબ વધુમાં વધુ ખેડૂતો પાસેથી ખરીદી થશે. મગફળીની ખરીદી મોટી હોવાથી તેમાં પ્રતિ દિવસ એક ખેડૂત પાસેથી વધુમાં વધુ ૨૫૦૦ કિલો જ ખરીદી કરવાનો લક્ષ્યાંક છે.

અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે રાજ્યમાં ડાંગર માટે ૯૨ ખરીદ કેન્દ્રો, મકાઈ માટે ૬૧ કેન્દ્ર, બાજરી માટે ૫૭ કેન્દ્ર, મગ માટે ૭૧ કેન્દ્ર, અડદ માટે ૮૦ કેન્દ્ર અને સોયાબીન માટે ૬૦ કેન્દ્ર કાર્યરત કરીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. મગફળીની અત્યાર સુધીમાં ૨.૭૦ લાખ ખેડૂતોની નોંધણી થઈ ચૂકી છે.

(લખ્યાં તા.૭ ઓક્ટો.૨૦૨૦)

ગુજરાતમાં કઈ કોમોડિટીની આ વર્ષે કેટલી ખરીદી થશે તેનું કોષ્ઠક



21 September 2020

સરકારે રવી સિઝન-૨૦૨૦-૨૧ માટે કઈ કોમોડિટીનાં કેટલા ટેકાનાં ભાવ કેટલા વધાર્યાં?

દિપક મહેતાઃ કેન્દ્ર સરકારે આગામી રવિ સિઝન-શિયાળુ પાકોની સિઝનને ધ્યાનમાં રાખીને લઘુત્તમ ટેકાનાં ભાવની આજે જાહેરાત કરી હતી. તાજેતરમા કૃષિ બિલોનાં વિરોધનો ટાળવા માટે સરકારે પહેલી વાર સપ્ટેમ્બર મહિનામાં એટલે કે હજી શિયાળુ પાકોનું વાવેતર શરૂ થાય એ પહેલા જ જાહેર કર્યાં છે. સરકારે ચણાનાં ટેકાનાં ભાવમાં રૂ.૨૨૫ અને મસૂરમાં રૂ.૩૦૦નો વધારો કર્યો હતો. જ્યારે રાયડાનાં ટેકાનાં ભાવમાં રૂ.૨૨૫નો વધારો કર્યો છે. જ્યારે ઘઉંનાં ટેકાનાં ભાવમાં રૂ.૫૦નો વધારો કરીને રૂ.૧૯૭૫ પ્રતિ ક્વિન્ટલ કર્યાં છે. સરકારે એવો પણ દાવો કર્યો છે કે આ પાકોની ઉત્પાદન પડતર કરતાં ટેકાનાં ભાવ ૫૦થી ૧૦૬ ટકા જેટલા વધારે છે.

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૫ બાદ પહેલીવાર ઘઉનાં ભાવ સૌથી ઓછા રૂ.૫૦ જ વધાર્યાં છે. ગત વર્ષે રૂ.૮૫ અને એ અગાઉ રૂ.૧૦૦થી વધુનો જ વધારો કર્યો હતો. દેશમાં ઘઉંનો જંગી સ્ટોક હોવાથી સરકારે ઘઉંનાં ભાવ ઓછા વધાર્યાં છે.

બીજી તરફ કઠોળ પાકો અને ખાસ કરીને મસૂરની અછત હોવાથી તેનું ઉત્પાદન વધે એ માટે તેનાં ટેકાનાં ભાવમાં સૌથી વધુ વધારો કર્યો છે. તેલીબિયાં પાક રાયડાનું ઉત્પાદન વધે અને ખાદ્યતેલની આયાત નિર્ભરતા ઘટે એ હેતુંથી સરકારે તેનાં ટેકાનાં ભાવ પણ રૂ.૨૨૫ વધાર્યાં છે. જ્યારે જવમાં રૂ.૭૫ અને કુસુમમાં રૂ.૧૧૨નો વધારો કર્યો છે.

(લખ્યા તા.૨૧ સપ્ટે.૨૦૨૦)


 

03 September 2020

અધધ.. ગુજરાતનો મગફળીનાં પાકનો સરકારી અંદાજ આટલો બધો..

દિપક મહેતાઃ ગુજરાતી વાર્તા રિંગણા લઉં બે-ચારની જેમ ગુજરાતના કૃષિ વિભાગે તા.૨ સપ્ટેમ્બરનાંરોજ ચાલુ ખરીફ સિઝનનાં ઉત્પાદનના અંદાજો કોઈને ગળે ન ઉતરે એવા ઊંચા મુક્યાં છે. ખાસ કરીને મગફળીનાં પાકનો અંદાજ સાંભળીને ખેડૂત હોય કે વેપારી તમામને ચક્કર આવી જાય તેમ છે.

સૌરાષ્ટ્રમાં મગફળીનાં પાકનું ખેતર
ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં પહેલા આગોતરા અંદાજ પ્રમાણે રાજ્યમાં મગફળીનું ઉત્પાદન આ વર્ષે (વર્ષ ૨૦૨૦ ખરીફ સિઝન) અધધ.. ૫૪.૬૫ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો
છે, જે ગત વર્ષની તુલનાએ ૨૧ ટકાનો વધારો બતાવે છે. સરકારે ચાલુ વર્ષે મગફળીમા પ્રતિ હેકટર ૨૬૩૭ કિલોનો ઉતારો ગણીને આ અંદાજ મૂક્યો છે, જે ગત વર્ષનાં ચોથા આગોતરા અંદાજ પ્રમાણે ૨૭૬૪ કિલોનો ઉતારો કરીને કુલ ઉત્પાદન ૪૫.૦૩ લાખ ટનનું મુક્યુ હતું. રાજ્યમાં મગફળીનું વાવેતર ૩૩ ટકા વધીને ૨૦.૭૩ લાખ હેકટરમાં થયું છે, પંરતુ ભારે વરસાદથી પાકને નુકસાન થત્તા ઉતારા ઘટી ગયાં છે. વેપારીઓનાં અંદાજો પ્રમાણે મગફળીનુ ઉત્પાદન ૩૪થી ૩૮ લાખ ટન વચ્ચે થાય તેવો પ્રાથમીક અં
દાજ આવી રહ્યો છે.

ગુજરાત સરકારે શેખચલ્લીની વાર્તાની જેમ બીજા ખરીફ પાકોનાં અંદાજો પણ મૂક્યાં છે. રાજ્યમાં એરંડા તો હજી વવાય રહ્યા છે, પંરતુ સરકાર કહે છેકે નવી સિઝનમાં એરંડાનો પાક ૧૪.૭૪ લાખ ટન થશે, જે ગત વર્ષની તુલનાએ  ત્રણ ટકાનો વધારો બતાવે છે. સરકારે ૬.૪૨ લાખ હેકટરમાં વાવેતર થશે તેવું માનીને આ અંદાજ મૂક્યો છે.

રાજ્યમાં કઠોળ પાકોનાં વાવેતરમાં મોટો વધારો થયો હોવાથી સરકારે તમામ કઠોળનાં ઉત્પાદનનાં અંદાજો પણ ઊંચા મૂક્યા છે. સરકારનાં પહેલા આગોતરા અંદાજ પ્રમાણે માત્ર જુવારનું ઉત્પાદન નવ ટકા ઘટવાનો અંદાજ છે. જ્યારે કપાસનાં ઉત્પાદનમાં સાત ટકાનો ઘટાડો થઈને ૮૨.૩૯ લાખ ગાસંડી થાય તેવી ધારણાં છે. ગવારસીડનું ઉત્પાદન પણ ગત વર્ષની તુલનાએ ૧૫ ટકા ઘટીને ૯૨ હજાર ટન થવાનો અંદાજ મૂક્યો છે.

વર્ષ ૨૦૨૨માં બમણી આવકનાં લક્ષ્યાંક સિદ્ધ કરવા અંદાજો વધાર્યાં?

કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આવી સ્થિતિમાં ખેડૂત નેતાઓ કે વેપારીઓ કહે છેકે સરકારને ચોપડે ખેડૂતોની આવક બમણી બતાવવી હશે એટલે જે મગફળી કે બીજા પાકોના આટલા ઉંચા અંદાજો મૂક્યાં હતાં. સરકાર પાક વીમો કે નુકસાનીનું વળતર આપતી નથી અને ઊંચા અંદાજો આપીને ખેડૂતોની આવક ચોપડે જ વધારી રહી છે.

સરકાર મગફળીનાં અંદાજ મુજબ ૧૩.૬૬ લાખ ટન ટેકાનાં ભાવથી ખરીદશે?

કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે મગફળીનાં પાકનાં ઉત્પાદનનાં અંદાજનાં ૨૫ ટકા મગફળી ટેકાના ભાવથી ફરજિયાત ખરીદવાની હોય છે, જે મુજબ રાજ્યમાં સરકારે ૫૪.૬૫ લાખ ટનનો અંદાજ મૂક્યો છે અને તેનાં ૨૫ ટકા ગણીએ તો ૧૩.૬૬ લાખ ટન મગફળી થાય છે. તો શું ખરેખર રાજ્ય સરકાર આ વર્ષે ૧૩.૬૬ લાખ ટન મગફળી ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવ રૂ.૧૦૫૫થી ખરીદશે ખરી? જોકે રાજ્યનાં નેતાઓ તો ગુજરાતનાં ખેડૂતોની તમામ મગફળી ટેકાનાં ભાવથી ખરીદાશે તેવી જાહેરાતો કરી રહ્યાં છે.

( જો આપ ખેડૂત કે વેપારી હોય અને મગફળીનાં પાક સાથે સંકળાયેલા હોય તો તમારા મતે કેટલો પાક થઈ શકે છે, જે લેખની નીચે કોમેન્ટમાં લખવા વિનંતી.)

26 August 2020

ગુજરાતમાંથી મગફળીની વિક્રમી સરકારી ખરીદીનો અંદાજ: ૨૫ ટકા ખરીદીની મર્યાદા દૂર કરવા વિચારણાં

દિપક મહેતાઃ ગુજરાતમાં મગફળીનાં બમ્પર વાવેતરને પગલે આ વર્ષે ઉત્પાદન પણ વિક્રમી થવાનો અંદાજ છે, જેને પગલે નવી સિઝનમાં સરકારી ખરીદી કેટલી થશે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. આવી સ્થિતિમાં સરકારી સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે ગુજરાતમાંથી આ વર્ષે મગફળીની વિક્રમી ખરીદી થાય તેવી સંભાવનાં રહેલી છે.

મગફળીના ખેતરમાં ઊભા ઉના તાલુકાના ભડિયાદર ગામે વિજાણંદભાઇ
ગાંધીનગર ખાતે તાજેતરમાં એક ઉચ્ચ અધિકારીઓની વિવિધ સહકારી સંસ્થાઓ સાથે બેઠક મળી હતી, જેમાં ગુજરાતમાંથી આ વર્ષે વિક્રમી ખરીદી કરવાનું નક્કી થયુ છે. ચાલુ વર્ષે મગફળીની ટેકાનાં ભાવથી ખરીદીની કામગિરી ગુજકોમાસોલ, બનાસ ડેરી, સાબર ડેરી અને પૂરવઠા નિગમને સોંપવામાં આવશે. આ ચારેય એજન્સીઓનાં અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ હતી. સુત્રોનાં કહેવા પ્રમાણે મોટા ભાગની ખરીદી ગુજકોમાસોલનાં ભાગે જ આવે તેવી સંભાવનાં છે.

કેન્દ્ર સરકારનાં નિયમ પ્રમાણે ગુજરાત સરકાર ઉત્પાદનનો જે અંદાજ મુકે તેનાં ૨૫ ટકા ખરીદી વધુમાં વધુ થત્તી હોય છે, પરંતુ આ વર્ષે આ ખરીદીની મર્યાદા દૂર કરવા માટે ગુજરાતનાં સહકારી નેતાઓએ કેન્દ્રમાં રજૂઆત કરી છે. કેન્દ્રમાં વડાપ્રધાન અને કૃષિ મંત્રી પુરષોતમ રૂપાલા પણ ગુજરાતનાં જ છે અને ગુજરાતનાં મુખ્યમંત્રી જોર લગાવે અને ઈચ્છાશક્તિ ધરાવે તો ખેડૂતોની તમામ મગફળીની ખરીદી કરવાની મંજૂરી મળી શકે તેમ છે. જો આ નિયમને મંજૂરી ન મળે તો ગુજરાતમાંથી ૧૦થી ૧૨ લાખ ટનની ખરીદી થાય તેવો અંદાજ છે. જે અત્યાર સુધીનો રેકોર્ડ થશે. મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ રૂ.૧૦૧૮થી વધીને રૂ.૧૦૫૫ થયા હોવાથી ખેડૂતોની નજર પણ સરકારી ખરીદી ઉપર જ છે.

ગુજરાતમાંથી વર્ષ ૨૦૧૭માં ૮.૨૦ લાખ ટન, ૨૦૧૮માં ચાર લાખ ટન અને ૨૦૧૯માં ૫.૨૦ લાખ ટન જેવી મગફળીની ખરીદી થઈ હતી, જે આ વર્ષે વધીને ૧૦ લાખ ટન ઉપર પહોંચે તેવી સંભાવનાં છે. ગુજરાતમાં આ વર્ષે મગફળીના પાકનો અંદાજ ૩૮ લાખ ટનથી લઈને ૪૫ લાખ ટન સુધીનાં આવી રહ્યાં છે.. જે રીતે મદ્યપ્રદેશમાંથી સરકારે ઘઉં-ચણાની અમર્યાદીત ખરીદી અને તેલંગણામાંથી કપાસની ખરીદી થઈ છે, એ રીતે ગુજરાતમાં મગફળીનો પાક મોટો છે તો વિજય રૂપાણીની સરકાર ધારે તો ખેડૂતો પાસેથી તમામ મગફળીની ખરીદી કરી શકે છે.

ગુજરાતમાંથી ગમે તેટલી મગફળી ખરીદીને પિલાણ કરવાની તૈયારીઃ દિલીપ સંઘાણી

ગુજરાતનાં પૂર્વ કૃષિ મંત્રી અને હાલ ગુજકોમાસોલનાં ચેરમેન અને અનેક સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા નેતા દિલીપ સંઘાણીએ દિલ્હીથી ટેલિફોનિક વાતચીતમાં ‘કોમોડિટી વર્લ્ડ’ને જણાવ્યું હતુ કે ગુજરાતમાં મબલખ પાક થવાનો છે ત્યારે ખેડૂતોની ચિંતા કરીને અમે કૃષિ મંત્રી સાથે વાત કરીને ગુજરાતમાં મગફળીનો જેટલો પાક થાય એ બધો જ ખરીદી લેવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. ઉત્પાદનનાં ૨૫ ટકા ખરીદીની મર્યાદા છે તેને દુર કરવા અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે.

બીજી અમે એ રજૂઆત કરી છે કે આ વર્ષે ગુજરાતમાંથી જેટલી મગફળી ખરીદવામાં આવે તેને તુરંત પિલાણ કરી દેવામાં આવે, જેથી તેનો સંગ્રહ કરવાની ચીંતા ન રહે અને આપણે દર વર્ષે રૂ.૭૦ હજાર કરોડ ઉપરની રકમનું તેલ આયાત કરીએ છીએ તેમાં પણ ઘટાડો થશે. સરકાર મંજૂરી આપે તો ગુજકોમાસોલ ગમે તેટલા ગોડાઉન ભાડે રાખીને પણ મગફળીની ખરીદી કરવા માટે તૈયાર છે.

ગાંધીનગર મગફળીની ખરીદી માટે થયેલી બેઠકની વાત વિશે દિલીપભાઈ કહે છેકે સરકાર ચારેય સંસ્થાઓને ખરીદીની કામગિરી સોંપશે, પંરતુ પૂરવઠા નિગમ કે બનાસ ડેરી કહેશે તો ગુજકોમાસોલ તેનાં ભાગની ખરીદી કરવા પણ તૈયાર છે. મગફળીની ખરીદી કરીને તેને સોમા હસ્તક તેને પિલાણ કરવાની પણ અમે રજૂઆત કરી હતી.

ગુજરાત સરકાર ૫૦ લાખ ટન આસપાસનો અંદાજ મુકી શકે

ગુજરાતમાં મગફળીનાં બમ્પર વાવેતરને પગલે પાકનાં અંદાજો જુદા-જુદાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારનાં અંદાજ ઉપર પણ સૌની નજર છે. ગાંધીનગર સ્થિત સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે રાજ્ય સરકારનો પહેલો આગોતરો અંદાજ તૈયાર થઈ ગયો છે, પંરતુ સત્તાવાર રીતે હજી જાહેર કરાયો નથી. એકાદ સપ્તાહમાં આ અંદાજ જાહેર થશે. સુત્રો કહે છેકે હાલ કૃષિ વિભાગની ટીમ દ્વારા ૫૦થી બાવન લાખ ટન આસપાસનો અંદાજ તૈયાર કરાયો છે, પંરતુ સરકાર જે નક્કી કરે તે ફાઈનલ થશે.

રાજ્ય સરકારનાં અંદાજો હંમેશા ખૂબ જ ઊંચા અને અકલપ્નીય હોય છે અને કોઈ કાળે તેટલું ઉત્પાદન થાય તેમ નથી. આવી સ્થિતિમાં રાજ્ય સરકારનાં ઊંચા અંદાજોથી ખેડૂતોને નુકસાન જાય છે.વેપારીઓ કહે છે આ અંદાજો માત્ર સરકારી ખરીદી કરવાની ગણતરી માટે જ ફાયદાકાર છે, કેમ કે જો ૫૦ લાખ ટનનો અંદાજ આવે તો ૧૨.૫ લાખ ટનની ખરીદી સરકાર ટેકાનાં ભાવથી કરશે.

મગફળીનાં ૪૦-૪૫ લાખ ટનનાં અંદાજો ખોટાઃ સમીરભાઈ શાહ

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશન (સોમા)નાં પ્રમુખ સમીરભાઈ શાહે ‘કોમોડિટી વર્લ્ડ’ ને જણાવ્યું હતું કે મગફળીનાં પાકનો સાચો અંદાજ લગાવવો હજી વહેલો ગણાશે. ભારે વરસાદથી નુકસાન પણ થયું છે. બજારમાં ૪૦થી ૪૫ લાખ ટનનાં અંદાજો ફરી રહ્યાં છે, જે વધુ પડતા છે અને એટલું ઉત્પાદન થાય તેવા કોઈ સંજોગો નથી. ગત વર્ષે મગફળીનાં પાકમાં ઉતારા આવ્યાં હતા એ અસામાન્ય સંજોગો હતા અને આ વર્ષે એટલા ઉતારા આવે તેવા કોઈ સંજોગો નથી. ગત વર્ષની અને આ વર્ષની સ્થિતિ જુદી છે. સરકાર સીંગતેલનો વપરાશ વધે તેવા પ્રયાસ કરે અને સીંગદાણા ઉપર નિકાસ પ્રોત્સાહનો આપે તો મગફળીનાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ જરૂર મળી શકે તેમ છે.


(પ્રથમ  તસ્વીર સૌજન્યઃ રમેશ ભોરણિયા)

12 July 2020

અમૂલનો ખાદ્યતેલ ક્ષેત્રે પ્રવેશઃ દેશને ખાદ્યતેલમાં આત્મનિર્ભર બનાવશે?


દિપક મહેતાઃ વિશ્વમાં સહકારી મોડલ અને શ્વેતક્રાંતિ માટે જાણીતા અમૂલ બ્રાન્ડે તાજેતરમાં ખાદ્યતેલ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે અને સમગ્ર ખાદ્યતેલ ઈન્ડસ્ટ્રીઝમાં ચર્ચાઓ થવા માંડી છે કે દુધની જેમ ખાદ્યતેલ ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર બનશે. ભારતમાં હાલ ક્રૂડતેલ પછી સૌથી વધુ વિદેશી હુડિંયામણ ખાદ્યતેલની આયાત પાછળ વપરાય છે અને આપણી જરૂરિયાતનાં ૭૦ ટકા ખાદ્યતેલ આપણે આયાત કરીએ છીએ. દેશ અનાજ-કઠોળ સહિત બીજી અનેક ખાદ્યચીજોમાં આત્મનિર્ભર બન્યો છે, પરંતુ ખાદ્યતેલમાં હજી આત્મનિર્ભર બની શક્યો નથી. દેશમાં એક તરફ તેલીબિયાં ઊગાડતા ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી અને બીજી તરફ આપણે મલેશિયા કે ઈન્ડોનેશિયા જેવા પામતેલનાં સૌથી મોટા ઉત્પાદક દેશનાં ખેડૂતોને લાખોપતિ બનાવી દીધા છે ત્યારે અમૂલનાં પ્રવેશથી ભારતને ચોક્કસ આ દીશામાં આત્મનિર્ભર બનાવે તેવી આશાઓ જાગે, પરંતુ એ પૂર્વે દેશનું ખાદ્યતેલ બજાર અને અમૂલનાં ખાદ્યતેલ ક્ષેત્રનાં પ્રવેશ વિશે વિગતે ચર્ચા કરીએ...

અમૂલે સીંગતેલ સહિતનાં પાંચ પ્રકારનાં ખાદ્યતેલ લોન્ચ કર્યાં
ગુજરાતની તમામ ડેરીઓનાં સંયુક્ત સંગઠન અને ૩૬ લાખ દુધ ઉત્પાદકો જેમાં જોડાયેલા છે એવા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે તેની દુધ સહિતની તમામ પ્રોડક્ટ અમૂલનાં બ્રાન્ડ હેઠળ વેચાણ કરે છે એ અમૂલે ૯મી જુલાઈ,૨૦૨૦નાં રોજ પાંચ પ્રકારનાં ખાદ્યતેલ લોન્ચ કર્યાં છે. અમૂલે જન્મય બ્રાન્ડનાં નેજા હેઠળ સીંગતેલ, કપાસિયા તેલ, સોયાતેલ, સનફ્લાવર તેલ અને રાયડા તેલ ૧ લીટર પાઉંચ, પાંચ લીટર જાર અને ૧૫ કીલો ટીન-ડબ્બા પેકિંગમાં લોન્ચ કર્યાં છે. હાલ આ ખાદ્યતેલ માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ મળશે.
લોન્ચિંગ દિવસ તા.૯ જુલાઈ,૨૦૨૦નાં ભાવ
લોન્ચિંગ સમયે અમૂલનાં એમ.ડી. આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે દેશમાં ખાદ્યતેલની આયાત નિર્ભરતા ઘટે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં તેલીબિયાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ હેતુંથી ખાદ્યતેલ ક્ષેત્રે પર્વેશ કર્યો છે. જન્મય બ્રાંડનો અર્થ થાય છે નવજાત અથવા તાજુ… આ તેલ પાલનપુર ખાતેનાં પ્લાન્ટમાં બનશે.

જાણો આપણે દર વર્ષે કેટલું ખાદ્યતેલ પીએ છીએ...
દેશમાં છેલ્લા અંદાજો પ્રમાણે દર વર્ષે આશરે ૨૩૦ લાખ ટન આસપાસ ખાદ્યતેલનો વપરાશ થાય છે, જેમાંથી ઘરઆંગણે ૭૫થી ૮૦ લાખ ટન ખાદ્યતેલનું ઉત્પાદન થાય છે, જ્યારે બાકીનું ખાદ્યતેલ આપણે આયાત દ્વારા પુરૂ કરીએ છીએ. ખાદ્યતેલનાં સિઝન વર્ષ નવેમ્બર-૨૦૧૮થી ઓક્ટોબર-૨૦૧૦ દરમિયાન ભારતે સીનાં અંદાજ પ્રમાણે કુલ ૧૪૯.૧૩ લાખ ટન ખાદ્યતેલની આયાત કરી હતી. ભારતીય લોકો દર વર્ષે અંદાજે ૧૭ કીલો તેલ પી જાય છે અને આમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તેલ-તૈલિબિયાં ક્ષેત્રે આત્મનિર્ભર બનવું જરૂરી છે. ખાદ્યતેલનાં કુલ વપરાશમાં મોટો હિસ્સો આયાતી તેલનો છે. જેમાં પણ ખાસ કરીને પામતેલનો સૌથી વધુ વપરાશ થાય છે, કારણ કે પામતેલ તમામ ખાદ્યતેલમાં સૌથી સસ્તુ છે.

ખાદ્યતેલનાં કુલ વપરાશમાં સીંગતેલ-કપાસિયા તેલનો હિસ્સો
અમૂલે ગુજરાતમાંથી ખાદ્યતેલનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં મોટા ભાગે સીંગતેલ અને કપાસિયા તેલનો વપરાશ સમગ્ર દેશમાં સૌથી વધુ થાય છે, પરંતુ દેશનાં કુલ વપરાશમાં આ બંને તેલનો હિસ્સો એકદમ ઓછો છે.
દેશની ખાદ્યતેલની કુલ ૨૩૦ લાખ ટનની જરૂરિયાત છે, જેમાંથી સીંગતેલનો હિસ્સો માત્ર પાંચ લાખ ટન છે. જે સીંગતેલનાં ભાવ વધે ત્યારે આપણે દેકારો બોલાવીએ છીએ, પરંતુ એ સીંગતેલનો  હિસ્સો કુલ ખાદ્યતેલમાં માત્ર બેથી અઢી ટકા જેટલો જ છે. કપાસિયા તેલનો હિસ્સો ૧૨થી ૧૪ લાખ ટનનો છે. આમ તેનો હિસ્સો માત્ર છ ટકા જ રહેલો છે.

અમૂલ સીંગતેલ ઉપર ભાર મૂકે તો ગુજરાતને મોટો ફાયદો
ગુજરાત મગફળીનાં ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ટોચ પર છે અને દેશનાં કુલ ઉત્પાદનમાં ૬૦થી ૭૦ ટકા હિસ્સો માત્ર ગુજરાતનો છે. ચાલુ વર્ષે એટલે વર્ષ ૨૦૨૦ની ખરીફ સિઝનમાં ગુજરાતમાં મગફળીનું બમ્પર વાવેતર થયું છે અને ઉત્પાદન ઓલટાઈમ હાઈ થવાનો અંદાજ છે ત્યારે જો સીંગતેલનાં વપરાશ ઉપર ભાર મુકાય તો ગુજરાતનાં ખેડૂતોને મોટી રાહત મળશે. એજ રીતે રાયડાતેલ ઉપર પણ ભાર મૂકવો જોઈએ, જેથી રાજસ્થાનનાં ખેડૂતોને ફાયદો થાય. બીજા ખાદ્યતેલની તુલનાએ મગફળી અને રાયડામાંથી તેલ વધારે નીકળે છે અને આરોગ્ય દષ્ટ્રીએ પણ ઉત્તમ છે. રોગપ્રતિકારક શક્તિ પણ મોટા પાયે વધારે છે.

અમૂલનાં પ્રવેશથી સહકારી ક્ષેત્રે સ્પર્ધા વધશે
ગુજરાતમાં સહકારી ક્ષેત્રની અગ્રણી બ્રાન્ડ ધારા સીંગતેલ સહિતનાં ખાદ્યતેલનાં વપરાશકારોમાં જાણીતી છે અને વર્ષો પહેલા લોકો તેનું તેલ વધારે ખરીદતા હતા. એજ રીતે એક-બે વર્ષ પહેલા સહકારી સંસ્થા ગુજકોમાસોલે પણ સીંગતેલ લોન્ચ કર્યું છે. આ સહકારી બ્રાન્ડ વચ્ચે અમૂલનાં આગમનથી સહકારી ક્ષેત્રે ખાદ્યતેલ વેચાણ કરવા માટે હરિફાઈ વધશે અને તેનો ફાયદો વપરાશકારો અને તેલીબિયાં ખેડૂતોને મળી શકશે. હાલ ખાદ્યતેલમાં ભેળસેળ વધી રહી છે ત્યારે સહકારી સંગઠનોનાં ખાદ્યતેલ ઉપર લોકોનો વિશ્વાસ વધે તેવી ધારણાં છે.
અમૂલે સનફ્લાવર કે સોયાબીન તેલની જગ્યાએ મગફળી અને રાયડાનાં ખેડૂતોને પ્રોત્સાહન મળે એ હેતુંથી સીંગતેલ અને રાયડા તેલનાં ઉત્પાદન અને વેચાણ ઉપર વધારે ભાર મુકશે તો ખરેખર ગુજરાત-રાજસ્થાનનાં ખેડૂતોને જેમ સારૂ તેલ ખાવા મળશે તેમ બંને રાજ્યનાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળશે.
(લખ્યા તા.૧૨ જુલાઈ,૨૦૨૦)
-લેખ પસંદ પડે તો આપનો અભિપ્રાય  લેખની નીચે કોમેન્ટમાં  લખવા વિનંતી. મો.9374548215

28 June 2020

જાણો સોનાનો ભાવ આટલો કેમ વધ્યો? હવે બાય કરાય કે સેલ?

દિપક મહેતાઃ કોરોનાં વાયરસની મહામારી વચ્ચે એક તરફ દેશ-વિદેશમાં મહામંદી વ્યાપી ગઈ છે અને લોકોનાં પગાર કાપની સાથે કેટલાયની નોકરી પણ જત્તી રહી છે. ચારે બાજુ મંદી-મંદીની જ વાતો ચાલી રહી છે એવા સમયે સોનાનાં ભાવ આસમાને પહોંચ્યાં છે ત્યારને સૌને એક જ પ્રશ્ન છે કે સોનાનાં ભાવ આટલા કેમ વધ્યાં છે અને હવે આ ભાવથી સોનું બાય કરાય કે સેલ કરાય? એનો જ નિર્ણય લઈ શકાતો નથી. આવો પ્રશ્ન તમારા મનમાં પણ જો થયો હોય તો તેનું નિરાકરણ લાવવાનો અહી પ્રયાસ કર્યો છે...
ગુજરાતમાં કે ભારતમાં સોનાનાં ભાવ જૂનનાં અંતમાં જ રૂ.૫૦,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઓલટાઈમ ઊંચી સપાટીએ પહોચ્યાં છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય સોનામાં પ્રતિ ૧૦ ગ્રામે આશરે ૧૫ હજારનો વધારો થયો છે. ટકાવારીમાં જોઈએ તો ૪૨ ટકાનો ઉછાળો આવ્યો છે. આટલું અધધ.. રિટર્ન બીજી એક પણ એસેટ કલાસમાં મળ્યુ નથી. અરે એક વર્ષની વાત તો જવા દો કોરોનાં વાયરસ ભારતમાં આવ્યો અને માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી એ સમયે સોનાનો ભાવ રૂ.૪૨૦૦૦ આસપાસનો હતો. આમ કોરોનાં વાયરસની મહામારી વચ્ચે જ સોનાનો ભાવ ગુજરાતમાં ૮ હજાર રૂપિયા વધી ગયો છે. આવી સ્થિતિમાં દરેકને સોનું ખરીદવાનું મન થાય છે, પરંતુ બીજી તરફ કેટલાકને નોકરી-ધંધા બંધ થઈ ગયા હોવાથી સોનું વેચવા પણ નીકળા છે.
સોનાનાં ભાવ કેમ વધ્યાં? આ રહ્યાં કારણો...
સોનાનાં ભાવ વધવા માટેનાં અનેક કારણો છે જે અહીં બહું ટૂંકાણમાં લખ્યાં છે.
૧) વિશ્વમાં હાલ અનેક દેશો વચ્ચે યુધ્ધ જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. જેમ કે ભારત-ચીન વચ્ચે તણાવ, અમેરિકા-ચીન વચ્ચેનું શિતયુધ્ધ, મિડલ ઈસ્ટમાં તંગદિલી, યુરોપનાં કેટલાક દેશોની બીજા દેશો સાથેની તણાવભરી નીતિ. જ્યારે-જ્યારે યુધ્ધ થાય કે તેનાં ભણકારા પણ વાગે તો સેફ હેવન-સુરક્ષીત રોકાણરૂપી સોનાની માંગ વધી જતી હોય છે અને સોનું વધે છે.
૨) કોરોનાં વાયરસને પગલે વિશ્વની તમામ દેશની ઈકોનોમી મંદીમાં ગરકાવ થઈ છે અને આઈએમએફ કે વર્લ્ડ બેન્ક સહિતની ટોચની સંસ્થાએ જીડીપીનો ગ્રોથ ઘટવાની આગાહી કરી છે ત્યારે તમામ એસેટ કલાસમાં રિટર્ન ઘટી રહ્યાં છે ત્યારે સોનામાં મોટા ફંડોનું આકર્ષણ વધ્યું છે.

૩) ઈકોનોમીને મંદીમાંથી ઊગારવા માટે અમેરિકાની ફેડરલ બેન્ક સહિત વિશ્વની તમામ બેન્કો અને સરકારે મોટા પાયે રાહત પેકેજ જાહેર કરી રહી છે અને બજારમાં ઈઝીમની બહાર આવી રહી છે. અમેરિકામાં વ્યાજદર ઝીરો થયા છે અને આગળ જત્તા યુરોપની જેમ નેગેટિવ વ્યાજદર આવે તો સરકાર બોન્ડની  ખરીદી શરૂ કરી શકે છે, જે સોનાની તેજીનું મુખ્ય ચાલક બળ હોય છે. (૨૦૦૮ની મંદી આવી ત્યારે વૈશ્વિક સોનું આ કારણથી જ ઓલટાઈમ હાઈ થયું હતું.)

૪) વિશ્વની મોટા ભાગની મધ્યસ્થ બેન્કો એટલે કે જેમ ભારતમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને અમેરિકામાં ફેડરલ બેન્ક છે તેમ તમામ બેન્કો સોનાની મોટા પાયે ખરીદી કરી રહી છે. ખાસ કરીને ચીન અને રશિયાની મધ્યસ્થ બેન્કે ખરીદી વધારી છે. હાલ વિશ્વની બેન્કો પાસે આશરે ૩૫ હજાર ટન સોનું પડ્યું છે.

૫) ભારતીય સંદર્ભમાં જોઈએ તો વૈશ્વિક સોનું હજી ઓલટાઈમ હાઈ નથી, પંરતુ ભારતીય સોનું વિક્રમી સપાટીએ છે, જેનું કારણ ભારતીય રૂપિયો સતત તુટી રહ્યો છે અને આયાત પડતર વધી રહી છે. ભારત સોનાની જરૂરિયાત આયાત દ્વારા જ પૂરી કરે છે, જેને પગલે સોનાની આયાત મોંઘી પડી રહી છે.

૬) ભારત સહિત વિશ્વનાં તમામ દેશમાં વ્યાજદર ઘટી રહ્યાં છે ત્યારે મોટા હેજ ફંડો કે સામાન્ય રોકાણકારો પાસે સોનું એક માત્ર એવો વિક્લ્પ છે કે જેમાં વાર્ષિક રિટર્ન સારૂ મળી રહ્યું છે. ભારતીય સોનાએ છેલ્લા ૧૫ વર્ષમાં સરેરાશ દર વર્ષે નવ ટકાનું વાર્ષિક વળતર આપ્યું છે. ભારતમાં હાલ બેન્કો ફિક્સ ડિપોઝીટ ઉપર ૬થી૭ ટકા વ્યાજદર આપે છે. શેરબજારમાં જોખમ વધારે અને એ દરેક માટે પોઝિટીવ રિટર્ન આપતું નથી. સોનું એક માત્ર એવી એસેટ-મિલ્કત છે કે જેને અડધી રાત્રે પણ પાડોશી કે ગમે ત્યાં વેચવા જાવ તો તેનાં પૈસા મળે છે, પરિણામે તેને સૌથી વધુ સુરક્ષીત રોકાણ માનવામાં આવે છે.

સોનું હવે ખરીદાય કે વેચાણ કરાય?
સોનાની તેજી અને તેનાં કારણો વાંચ્યા પછી સોનું ખરીદવાનું મન થઈ જાય એ સ્વભાવિક વાત છે, પંરતુ હાલ લોકો પાસે એટલા પૈસા જ નથી કે બે તોલા સોનાની ચેઈન લઈ આવે. કારણ કે હાલ એક લાખ રૂપિયાનું સોનું લેવાનાં પૈસા લાવવા ક્યાં? જ્યારે ત્રણ મહિનાથી ધંધો જ નથી થયો અને કર્મચારીઓને પગાર દેવાનાં કે ભાડું ચૂકવવાનાં પણ ફાંફા છે. આ વાત સાચી છે કે સોનું ખરીદવા હાલ સામાન્ય લોકો પાસે પૈસા જ નથી...
(નોંધઃ ૨૦૨૦નાં ભાવ ૨૭ જુનનાં છે)
જે વ્યક્તિને પૈસાની સખત જરૂર હોય અને બીજા દેવા ચૂકવવા જ પડે તેમ હોય તેને સોનું વેચાણ કરવાની હાલ તક છે અને સોનું પોતાની પાસે પડ્યું હોય તેનાં અમુક ટકા વેચાણ કરવામાં કોઈ વાંધો નહીં, કારણ કે દેવું ચડી રહ્યું છે.
સોનું ખરીદનારા માટે હાલ જોખમ રહેલું છે. સોનું ૫૦ હજારથી વધીને ૬૦ હજાર થવાની પણ વાત છે, પરંતુ હવે ક્યારે ૬૦ હજાર થશે એ હાલ કહી શકાય તેમ નથી. વૈશ્વિક બજારમાં કોઈ એવું કારણ આવે તો સોનું ઝડપથી ૪૫ હજાર પણ થઈ શકે છે.. આવી વોલેટાલિટી સહન કરવાની શક્તિ હોય તે સોનું ખરીદી શકે છે.
આમ તો વિશ્વની ટોચની ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાશે એપ્રિલ-મે મહિનામાં જ આગાહી કરી હતી કે વૈશ્વિક સોનું ડિસેમ્બર-૨૦૨૦માં ૧૮૦૦ ડોલર અને ૨૦૨૧માં બે હજાર ડોલરની નવી ટોચે પહોંચશે.

વૈશ્વિક સોનાની વધઘટ પર એક નજર...
વૈશ્વિક બજારમાં વર્ષ ૨૦૦૮માં લેહમેન બર્ધર્સની નાદારીને કારણે મહામંદી આવી એ સમયે ઓક્ટોબર ૨૦૦૮માં વૈશ્વિક સોનું ૭૦૦ ડોલર હતુ, જે ઝડપથી સપ્ટેમ્બર ૨૦૧૧માં વધીને ૧૯૦૦ ડોલરની ટોચે પહોંચ્યું હતું. ત્યાર બાદ સોનું ઘટીને ડિસેમ્બર ૨૦૧૫માં ૧૦૦૦ ડોલર થયું હતું. ૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાન સોનું ૧૦૦૦થી ૧૩૫૦ ડોલર વચ્ચે અથડાયને હાલ ૨૦૨૦માં જૂન અંતમાં વૈશ્વિક સોનું ૧૭૭૦ ડોલર પર પહોંચ્યુ છે.

-લેખ પસંદ પડે તો આપનો અભિપ્રાય મો.9374548215 પર વોટસએપ કરવો અને લેખની નીચે કોમેન્ટ કરવા વિનંતી.
(નોંધઃ સોના વિષેનો આ લેખ માત્ર એક વ્યક્તિગત વિચાર છે. સોનામાં રોકાણ કરતા પહેલા તમારા આર્થિક સલાહકારની સલાહ લેવી જરૂરી છે. નફા-નુકસાન માટે અમે જવાબદાર નથી)
(લખ્યા તારીખ ૨૮ જૂન,૨૦૨૦)

23 June 2020

નવી ખરીફ સિઝન માટે જાણો કઈ કોમોડિટીમાં ટેકાનાં ભાવ કેટલા વધ્યાં?

દિપક મહેતાઃ કેન્દ્ર સરકારે આગામી ખરીફ સિઝન વર્ષ ૨૦૨૦-૨૧ માટે ટેકાનાં ભાવ-મિનીમમ સપોર્ટ પ્રાઈઝ (MSP)ની જાહેરાત ગત બીજી જૂનનાં રોજ કરી દીધી છે. ખેડૂતો વાવેતર કરવાની શરૂઆત કરે એ પહેલા જ ટેકાનાં ભાવ જાહેર થાય તો ખેડૂતો વાવેતરનો નિર્ણય લઈ શકે એ હેતુંથી સરકાર ખરીફ પાકો માટે ટેકાનાં ભાવની જાહેરાત  વહેલી કરે છે. આ ખરીફ ટેકાનાં ભાવ નવી સિઝન એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં નવો માલ આવે તેને લાગુ પડે છે.
તસ્વીર સૌજન્યઃ રમેશ ભોરણીયા
કેન્દ્ર સરકારે મોટા ભાગની કોમોડિટીનાં ટેકાનાં ભાવમાં ગત વર્ષની તુલનાએ ૩થી ૮ ટકાનો જ વધારો કર્યોછે, એક માત્ર અળશીનાં ભાવમાં ૧૩ ટકાનો વધારો કર્યો છે. ભારતમાં કૃષિ કમિશન- એગ્રીકલ્ચરલ કમીશન ફોર પ્રાઈઝ એન્ડ કોસ્ટ દ્વારા દર વર્ષે દરેક જણસનાં ટેકાનાં ભાવ વધારાની દરખાસ્ત સરકારને કરવામાં આવે છે અને તેના ઉપર કેન્દ્રીય આર્થિક બાબતેની કેબિનેટ કમિટી વિચારણાં કરીને આખરી નિર્ણય લે છે. સામાન્ય રીતે ભાજપની સરકાર બીજી વાર કેન્દ્રમાં આવી ત્યારથી તેણે જે-તે કોમોડિટીનાં ઉત્પાદન ખર્ચ સામે ઓછામાં ઓછા ૫૦ ટકા વળતર મળે એ રીતે ટેકાનાં ભાવ જાહેર કરવાની જાહેરાત કરી હતી અને આ ઉત્પાદન ખર્ચ કૃષિ કમિશન જે નક્કી કરે તેનાં આધારે જ ટેકાનાં ભાવ નક્કી થાય છે.
હવે વાત કરી કે આગામી ખરીફ સિઝનમાં સરકારે ટેકાનાં ભાવમાં કેટલો વધારો કર્યો? તો કેન્દ્ર સરકારે કપાસ અને કઠોળ સિવાયની તમામ કોમોડિટીનાં ટેકાનાં ભાવમાં ગત વર્ષની તુલનાએ ઓછો વધારો કર્યો છે. ખેડૂતોને એવી આશા હતી કે સરકાર દ્વારા કોરોનાં વાયરસની સ્થિતિને કારણે ટેકાનાં ભાવમાં મોટો વધારો કરશે, પંરતુ સરકારે આવું કર્યું નથી. બીજી તરફ એરંડા કે ગવાર જેવી કોમોડિટીનાં પણ સરકાર આ વર્ષે ટેકાનાં ભાવ જાહેર કરે તેવી ચર્ચાઓ ચાલી હતી, પરંતુ તેનાં ઉપર પણ હવે પૂર્ણ વિરામ મુકાય ગયું છે. ઉત્તર ગુજરાતનાં અનેક ધારાસભ્યોએ સરકારને એરંડાનાં ટેકાનાં ભાવ જાહેર કરવા પત્ર લખ્યો હતો, પરંતુ એ પત્ર સરકારે ડસ્ટબીનમાં જ ફેંક્યો હોય તેવુ ટેકાનાં ભાવની જાહેરાત પરથી પ્રતિત થાય છે.
કેન્દ્ર સરકારે કઈ કોમોડિટીમાં કેટલો વધારો કર્યો અને નવા ભાવ શું થશે તેની માહિતી નીચેનાં કોષ્ટકમાં આપી છે, જેમાં પ્રતિ મણ એટલે કે ૨૦ કિલોમાં પણ ભાવ છે અને નીચે બીજા નંબરનાં કોષ્ટકમાં પ્રતિ ક્વિન્ટલનાં ભાવ પણ છે.
( ટેકાનાં ભાવ આ વર્ષે ૨ જૂન,૨૦૨૦નાં રોજ જાહેર થયા હતા.)


ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...