20 December 2014

Mentha oil price may be up

મેન્થા ઓઈલનું ઉત્પાદન ઘટતા અને નિકાસ માંગનાં ટેકે તેજીની ધારણાં
મેન્થાતેલનું ઉત્પાદન ચાલુ વર્ષે ૩૦ ટકા ઘટે તેવી ધારણાં
 
મેન્થા ઓઈલમાં ક્રિસમસ નજીક આવવાને કારણે નિકાસ માંગ વધતા અને ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણાએ તેજી જોવા મળે તેવી ધારણાં છે. મેન્થાઓઈલમાં નીચા ભાવને કારણે ચાલુ વર્ષે ફુદીનાનું વાવેતર ખેડૂતોએ ટાળ્યું હતું.
મેન્થા ડિસેમ્બર વાયદામાં ભાવ ૩ ડીસેમ્બરે રૃા.૬૯૩ હતા, જે આજે વધીને રૃા.૭૨૭ની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં. કેડીયા કોમોડિટીનાં એમ.ડી. અજય કેડિયાનું કહેવું છેકે મેન્થા વાયદામાં હજુ પણ તેજી જોવા મળી શેક છે. વાયદમાં રૃા.૬૯૦-૬૯૬ની સપાટી પર ખરીદી કરો અને રૃા.૬૬૦નાં સ્ટોપલોસ સાથે રૃા.૭૮૦નો લક્ષ્યાંક ધ્યાનમાં રાખવો. આ લક્ષ્યાંક હાંસલ થયા બાદ આગળ ઉપર રૃા.૮૪૦નાં ભાવ જોવા મળી શકે છે.
યુ.પી.માં મેન્થા ઓઈલની મોટા ભાગની મંડીમાં આવકો અત્યારે ઓછી થઈ રહી છે. ચંદોસી અને સંભલમાં ૫૦ ડ્રમની આવક થાય છે, જ્યારે બારાબંકીમાં ૮૦ ડ્રમની આવક થાય છે. હાજર ભાવ સરેરાશરૃા.૭૭૦થી રૃા.૮૨૦ની રેન્જમાં અથડાઈ રહ્યાં છે. 
દેશમાં મેન્થાઓઈલનું ઉત્પાદન ચાલુ વર્ષે ૪૦ હજાર ટનનું થાય તેવો અંદાજ છે, જે ગત વર્ષે ૫૦ હજારથી ૫૫ હજાર ટનની વચ્ચે થયું હતું. ગત વર્ષે મેન્થામાં ભાવ અડધો અડધ ઘટી ગયાં હોવાથી દેશમાં ફુદીનાનું વાવેતર ઘટ્યું હતું. દેશમાંથી સરેરાશ ૨૫ હજાર ટનની મેન્થાઓઈલની નિકાસ થવાનો અંદાજ છે. ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં સરેરાશ નિકાસ માંગ સારી રહે છે, જેને કારણે ભાવ ઊંચકાય શકે છે. ઉલ્લેખનીય છેકે મેન્થાતેલનાં ભાવ માર્ચ ૨૦૧૨માં રૃા.૨૫૬૪ અને ૨૦૧૩માં રૃા.૧૫૮૫ની ટોચે હતાં, જે હાલ ઘટીને રૃા.૭૩૦ની સપાટીએ પહોંચી ગયાં છે.

All india Ravi Sowing 19 December

દેશમાં રવિ વાવેતર વિસ્તારમાં ૨૯ લાખ હેકટરનો ઘટાડો
 ચણાનું વાવેતર ૧૬ ટકા ઘટ્યું  ઘઉંનાં વાવેતરમાં ધીમી ગતિએ વધારો


દેશમાં રવિ વાવેતર વિસ્તાર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી વાવેતર વિસ્તારમાં પણ વધારો નોંધાયો છે. તેમ છત્તા ગત વર્ષની તુલનાએ રવિ વાવેતર વિસ્તારમાં ૨૯ લાખ હેકટરનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં વાવેતર વિસ્તારમાં ૪૧ લાખ હેકટરનો વધારો થયો છે.
કેન્દ્રીય કૃષિ ખાતાનાં આંકડાઓ પ્રમાણે ૧૯મી ડિસેમ્બર સુધીમાં દેસમાં કુલ ૫૧૧.૧૩ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૫૪૦.૦૫ લાખ હેકટરમાં નોંધાયું હતું. ચણાનાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ ૧૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
દેશમાં ઘઉંનાં વાવેતર વિસ્તારમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. હવે ગત વર્ષની તુલનાએ વાવેતર વિસ્તારમાં માત્ર પાંચ લાખ હેકટરનો જ ઘટાડો નોંધાયો છે. જોકે ગત વર્ષની તુલનાએ સરેરાશ વાવેતર ઓછું જ થાય તેવી ધારણાં છે.
દેશમાં રવિ પાકનાં વાવેતરની સ્થિતિ
 પાકનું નામ     ચાલુ વર્ષે   ગત વર્ષે
રાયડો             ૬૨.૯૯    ૬૬.૫૫
મગફળી         ૩.૧૭      ૩.૩૦
સૂર્યમુખી         ૨.૩૨.     ૩.૨૪
તલ               ૦.૫૨.     ૦.૪૮
અળસી          ૨.૩૦      ૨.૪૪
તેલીબિયાં       ૭૨.૫૨    ૭૮.૦૫
ઘઉં               ૨૬૮.૨૬ ૨૭૩.૧૨
ધાન્ય પાક       ૪૮.૨૪    ૫૩.૮૮
ચણા              ૭૫.૧૫    ૮૯.૪૬
કઠોળ             ૧૧૯.૮૯ ૧૩૨.૭૯
કુલ વાવેતર     ૫૧૧.૧૩ ૫૪૦.૦૫

(આંકડાઓ લાખ હેકટરમાં ૧૯ ડિસે. સુધીનાં)

http://www.seaofindia.com/cdn/gallery/7/1e0f1a9eb45aae804999f9cd2b0d6cec.pdf

19 December 2014

Guargum export Rise 38% and Hps Groundnut Export Rise 33%

દેશમાંથી સાત માસમાં ગવારગમની ૩૮ ટકા અને સિંગદાણાની ૩૩ ટકા નિકાસ વધી

એપ્રિલથી ઓક્ટોબરમાં ગવારગમની ૪.૬૧ લાખ ટનની નિકાસ થઈ
દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ  સાત મહિનામાં ગવારગમ અને સિંગદાણાની નિકાસમાં મોટો વધારો જોવા મળ્યો છે. અપેડા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ગવારગમની નિકાસ ૩૮ ટકા અને એચપીએસ સિંગદાણાની નિકાસમાં ૩૩ ટકાનો વધારો જોવા મળ્યો છે.
દેશમાંથી એપ્રિલથી ઓક્ટોબર મહિના દરમિયાન ગવારગમની કુલ ૪.૬૧ લાખ ટનની નિકાસ થઈ છે, જે ગત વર્ષે આજ સમયગાળામાં ૩.૩૩ લાખ ટનની નિકાસ થઈ હતી. નવેમ્બર મહિનામાં નિકાસનાં આંકડાઓ હજુ આવ્યાં નથી, પરંતુ સરેરાશ ગત વર્ષની તુલનાએ ઓછી નિકાસથાય તેવો અંદાજ છે. ગત વર્ષે નવેમ્બરમાં ૭૦ હજાર ટન ગવારગમની નિકાસ થઈ હતી.
એપ્રિલથી ઓક્ટોબર મહિના દરમિયાન એચપીએસ સિંગદાણાની નિકાસ કુલ ૨.૮૧ લાખ ટનની થઈ છે, જે ગત વર્ષે ૨.૧૧ લાખ ટનની થઈ હતી. આમ તેમાં ૩૩ ટકાનો વધારો જોવા મળ્યો છે. સિંગદાણાની નિકાસ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ ગત વર્ષની તુલનાએ વધે તેવી શક્યતા છે.

Onion price Rise 33 % in last 18 Days

દેશમાં ડુંગળીનાં ભાવમાં ડિસેમ્બરમાં ૩૩ ટકાનો વધારો

-કમોસમી વરસાદથી પાકને અસર થતા સારી ક્વોલિટીમાં ભાવ ઊંચકાયાં

બટાટાનાં ભાવ ઘટી રહ્યાં છે, પરંતુ ડુંગળીનાં ભાવમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાં ડુંગળી ઉત્પાદક વિસ્તારમાં કમોસમી વરસાદ અને શિયાળુ વાવેતર ઓછા થવાને પગલે ડુંગળીનાં ભાવ ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં ગુજરાતમાં ૩૩ ટકા અને મહારાષ્ટ્રમાં ૨૭ ટકાનો ઉછાળો આવ્યો છે.
ગુજરાતમાં ડુંગળીનાં ઘર ગણાતા મહુવામાં પહેલી ડિસેમ્બરે ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં રૃા.૧૨૦-૩૦૦નાં હતા, જે આજે (૧૮ ડિસે.) વધીને રૃા.૨૫૧-૩૭૮ની ઊંચી સપાટીએ પહોંચી ગયાં છે. મહારાષ્ટ્રમાં પણ એશિયાની સૌથી મોટી મંડી લાસણગાંવમાં ડુંગળીનાં ભાવ આજ સમયગાળામાં પ્રતિ ક્વિન્ટલ રૃા.૧૩૭૫થી વધીને રૃા.૧૭૫૦ની ઊંચાઈએ પહોંચ્યાં છે. નવી દિલ્હીમાં પણ ૨૫ ટકાનો વધારો થયો છે.
નેશનલ હોર્ટીકલ્ચરલ રિસર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનાં ડિરેકટર આર.પી.ગુપ્તાએ જણાવ્યું હતું કે આ ટૂંકાગાળાનો વધારો છે. કમોસમી વરસાદને કારણે કાપણીમાં અસર પહોંચી હોવાથી ભાવ વધ્યાં છે. ખેતરમાં ભેજનું પ્રમાણ ઘટતા અને આવકો વધતા એકાદ સપ્તાહમાં ભાવ ફરી ઘટે તેવી ધારણાં છે.
મહુવાનાં ડુંગળીનાં અગ્રણી ટ્રેડર સંજયભાઈ દોશીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર-રાજસ્થાનમાં તાજેતરમાં પડેલા વરસાદથી ગુજરાતની માંગ નીકળી છે. પરિણામે ભાવ ઊંચકાયા છે. વર્તમાન સ્થિતિ જોતા હવે મણદીઠ રૃા.૩૦૦ની નીચે બજાર જાય તેવું લાગતું નથી. વળી હાલની ડુંગળીનું આયુષ્ય ૧૫થી ૨૦ દિવસનું જ હોય છે, ત્યાર બાદ તે ઊગી જાય છે.
તેમણે ગુજરાતનાં પાકની સ્થિતિ વિશે કહ્યું કે હાલ થોડો નબળો માલ આવી રહ્યો છે, ખેડૂતો પાક તૈયાર થાય તે પહેલા જ વેચાણ કરે છે, પરંતુ તાજેતરમાં પડેલી ઠંડીને કારણે આગામી દિવસોમાં આવકો થશે તે સારી ક્વોલિટીનો રહેશે. ચાલુ વર્ષે ઉતારા પણ ઓછા છે, પરિણામે ભાવ ઘટે તેવું લાગતું નથી.

World Wheat price Rise 7 Month high due to Russia Export Ristcriction

રશિયાએ નિકાસ ઉપર નિયંત્રણો લાદતા વૈશ્વિક ઘઉં સાત માસની ટોચે

રશિયાએ ભારત સહિતનાં ચાર દેશો સિવાય ઘઉંનો નિકાસ પ્રતિબંધ મૂક્યો

વૈશ્વિક ઘઉંમાં ફરી તેજીનો માહોલ જોવા મળ્યો છે. રશિયન ઈકોનોમીમાં મંદી અને વધી રહેલા ફુગાવાનો નિયંત્રણમાં રાખવા માટે તેણે ઘઉંની નિકાસ ઉપર નિયંત્રણો લાદ્યા છે, જેને કારણે વિશ્વ બજારમાં ઘઉંનાં ભાવ વધીને સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં. બજારનો અંડરટોન હજુ પણ મજબૂત છે અને તેનાંથી ભારતને પણ ફાયદો થાય તેવી સંભાવનાં છે.
રશિયાનાં નેશનલ એસોસિયેશન ઓફ એક્સપોર્ટ ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ ગ્રૂપે જણાવ્યું હતું કે સરકારે માત્ર ઈજિપ્ત, તુર્કિ, ભારત અને આર્મેન્યિા એમ ચાર જ દેશમાં ઘઉંની નિકાસ માટેની છૂટ આપી છે, એ સિવાયનાં દેશોમાં નિકાસ સર્ટિફીકેટ ઈશ્યૂ કરવાનાં બંધ કર્યાં છે. રશિયા સામાન્ય રીતે ૧૨થી વધુ દેશોમાં નિકાસ કરે છે, પરંતુ હવે માત્ર ચાર દેશમાં જ નિકાસ શક્ય બનશે. રશિયા વિશ્વમાં ઘઉંની નિકાસ કરતો ટોચનાં નિકાસકાર દેશોમાંનો એક છે.
રશિયાનાં નિર્ણય સામે ત્યાંનાં નિકાસકારોએ સરકારને પત્ર લખ્યો છેકે આ નિર્ણયથી વિશ્વ બજારમાં રશિયાની છાપ ખરાબ ઊભી થશે. જે જૂના સોદા થયા છે તે પણ રદ થશે.
રશિયાનાં નિર્ણયને પગલે શિકાગો ઘઉં વાયદો ૨૫.૨૫ સેન્ટ વધીને ૬.૪૮ ડોલરની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં. જે સાત મહિનાની સૌથી ઊંચી સપાટી બતાવે છે. રશિયાના નિકાસ નિયંત્રણોથી અમેરિકાની ઘઉંની નિકાસ વધે તેવી સંભાવનાં છે.
ભારતમાં પણ ઘઉંનાં ભાવ છેલ્લા ઘણા સમયથી સ્થિર છે અને નિકાસ વેપારો ખાસ થતા નથી, પરંતુ આગામી દિવસોમાં નિકાસવેપારો ખુલે તેવી સંભાવનાં છે. રશિયાનાં પ્રતિબંધથી વૈશ્વિક ઘઉંનાં ભાવ વધુ ઊંચકાય શકે છે.
માર્કેટએજનાં એનાલિસ્ટ માર્ક માર્ટીનનું કહેવું છેકે રશિયાનાં નિર્ણયને પગલે વૈશ્વિક ઘઉંનાં ભાવ વધીને આગામી ૧૨ મહિનામાં ૩૦૦ ડોલર પ્રતિ ટનની સપાટીએ પહોંચી શકે છે. જે હાલમાં ૨૫૦ ડોલર આસપાસ ચાલે છે. રશિયાની સાથે યૂક્રેન સહિતનાં કાળા સમુદ્રનાં દેશોમાં જો સિઝનને અંતે ઉત્પાદન ઓછું થાય તો ભાવ વધુ વધે તેવી પણ સંભાવનાં છે.

17 December 2014

Gujarat Ravi Sowing 15 December 2014

સૌરાષ્ટ્રમાં રવિ વાવેતરમાં ૫૦ ટકાનો ઘટાડો

-પાણીનાં અભાવે રાજ્યમાં ઘઉંનું ૩૫ ટકા, જીરૃનું ૪૪ ટકા ઘટ્યું
-ઠંડી પડવાની શરૃ થતા પંદર દિવસમાં વાવેતર વધે તેવી ધારણાં

ગુજરાતમાં ખરીફ સિઝનમાં ખેડૂતોને ઉત્પાદન અને ભાવની બાબતમાં માર પડ્યાં બાદ રવિ સિઝનમાં પણ મોટો ફટકો પડે તેવા એંધાણ દેખાય રહ્યાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે રવિ વાવેતર વિસ્તારમાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. સમગ્ર ગુજરાતમાં ૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે સૌરાષ્ટ્રમાં ૧૫મી ડિસેમ્બર સુધીમાં કુલ ૫.૬૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૧૧.૨૫ લાખ હેકટરમાં થયું હતું. કચ્છમાં પણ વાવેતર બાવન ટકા ઘટ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘઉંનાં વાવેતર વિસ્તારમાં ૬૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતનાં નાયબ કૃષિ નિયામક ડો.એચ.એમ.બાબરીયાએ જણાવ્યું હતું કે ઠંડી પડવાની હવે શરૃ થતા હજુ પંદર દિવસમાં વાવેતર વધે તેવી ધારણાં છે. અત્યારે ઊભા પાકોની સ્થિતિ ખૂબ જ સારી છે અને નવા વાવેતર માટે પણ અત્યારે ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે.

જૂનાગઢ અને નવસારી કૃષિ યુનિ.નાં ઉપકુલપતિ ડો.એ.આર.પાઠકે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પાણીની મોટી સમસ્યા હોવાથી વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે અને સમગ્ર સિઝન દરમિયાન પણ ઘટાડો જોવા મળશે.

Premium quality tea Shortage

પ્રીમિયમ ક્વોલિટીની ચાની મોટી અછત  ભાવ વધુ ઊંચકાય તેવી ધારણાં


-આસામની પ્રીમિયમ ક્વોલિટીની ચામાં કિલોએ રૃા.૧૦થી ૨૦નો વધારો

દેશમાં પ્રતિકૂળ હવામાનને કારણે ચાલુ વર્ષે સારી ક્વોલિટીની ચા ઓછી ઉત્પાદિત થઈ હોવાથી સરેરાશ ચા બજારમાં વર્ષાંતે મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતનાં ચાનાં અગ્રણી ટ્રેડરોનું કહેવું છેકે અત્યારે સારી ક્વોલિટીની ચાની મોટી અછત જોવા મળી રહી હોવાથી તેમાં ભાવ ઊંચકાય તેવી સંભાવનાં છે.
ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિયેશનનાં ભૂતપૂર્વ પ્રમુખ સેંધાભાઈ પટેલે જણાવ્યું હતું કે સારી ક્વોલિટીની ચામાં કિલોએ રૃા.૧૦નો વધારો થયો છે. આસામની પ્રીમિયમ ક્વોલિટીની ચા કહેવાય તેની અત્યારે મોટી અછત જોવા મળી રહી છે. નબળી ક્વોલિટીની ચા જોઈએ એટલી માત્રામાં મળે છે. અત્યારે ચાનાં મોટા ભાગનાં બગીચાઓ બંધ થઈ ગયાં છે અને ઓક્ટોબરમાં ઉત્પાદિત થતી ઓટમની ચાની અત્યારે માંગ વધારે છે, પરંતુ આ ચા મળતી નથી.
રાજકોટનાં અગ્રણી ટ્રેડર એવા જીતુભાઈ ચાવાળાએ જણાવ્યું હતું કે ચાની સીઝન પૂરી થઈ ગઈ છે અને નવી સિઝન હવે ચાર-પાંચ મહિના પછી શરૃ થશે. પરિણામે અત્યારે સારી ક્વોલિટીની ચાની ખૂબ જ શોર્ટેજ છે. સારી ચા વેચનાર એક પાસ છે, પરંતુ સામે ખરીદનાર પાંચ છે, પરિણામે તેમાં ભાવ ઊંચકાયા છે. સરેરાશ કિલોએ રૃા.૨૦નો વધારો થયો છે.

સૌરાષ્ટ્રમાં એવરેજ લુઝમાં સારી ક્વોલિટીની ચામાં કિલોનાં રૃા.૨૦૦થી ઉપરનાં ભાવ ચાલે છે. બ્રાન્ડવાળાની ચા રૃા.૩૦૦ સુધીમાં મળે છે. નબળી લૂઝ ચામાં રૃા.૧૦૦થી લઈને રૃા.૧૫૦ સુધીનાં ભાવ છે. ઓક્શનનાંભાવ રૃા.૧૦૦ની અંદર ચાલે છે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...