29 December 2014

TMT steel price rise due change of Dia Differnce

ગુજરાતમાં ટીએમટી સ્ટીલમાં કૃત્રિમ તેજીનો તખ્તો તૈયાર

- બે સાઈઝ વચ્ચેનો ભાવ ફરક વધારીને ભાવ વધારો કરવાની તૈયારીમાં
-સ્ટીલનાં ભાવમાં ટને રૃા.૪૦૦થી ૮૦૦નો વધારો થશે

નવો ડાય ડિફરન્સ શું રહેશે?
બેઝ રેટ          ૨૦ એમ.એમ.
+રૃા.૩૦૦૦    ૮એમ.એમ.
+રૃા.૧૫૦૦    ૧૦એમ.એમ.
+રૃા.૮૦૦      ૧૨,૧૬,૨૫
+રૃા.૧૦૦૦    ૨૮,૩૨ એમ.એમ.ક્રૂડતેલ અને આર્યનઓરનાં ભાવમાં ઘટાડો થવાથી સ્ટીલનાં ભાવમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટીલની મંદીને ટાળવા માટે ગુજરાતનાં ટીએમટી સ્ટીલ ઉત્પાદકો ભાવવધારવા માટેનો નવો તખ્તો તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં આડકતરી રીતે વપરાશકારો ઉપર ભાવવધારો કરવામાં આવે તેવી સંભાવનાં છે. નવા ડાય ડિફરન્સનાં માળખાનો પહેલી જાન્યુઆરીથી અમલ કરવાની જાહેરાત ગુજરાત રોલિંગ મિલ એસોસિયેશન દ્વારા  સર્વાનુમતે લેવામાં આવી છે.
સ્ટીલ સાથે સંકળાયનાં એક અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે ટીએમટી સ્ટીલમાં અત્યારે ગુજરાતની બજારમાં બેઝ ભાવ તરીકે ૨૦ એમ.એમ.ની સાઈઝ નક્કી કરવામાં આવી છે અને તેનાં આધારે અન્ય સાઈઝનાં ભાવ નક્કી થાય છે. વર્તમાન સમયમાં ૨૦ એમએમ અને અન્ય સાઈઝ વચ્ચેનો જે ભાવ ફરક છે તેમાં વધારો કરીને સ્ટીલ ઉત્પાદકો ભાવવધારો કરવાની તૈયારીમાં છે.
ટીએમટી સ્ટીલમાં અત્યારે સરેરાશ ૨૦ એમ.એમ.નાં રૃા.૪૧,૦૦૦ આસપાસનાં ભાવ ચાલી રહ્યાં છે. જેની સામે ૧૨,૧૬ અને ૨૫ એમ.એમ.ની સાઈઝનાં રૃા.૪૦૦ વધારે, ૧૦ અને ૩૨ એમ.એમ.માં રૃા.૧૦૦૦ વધારો અને ૮ એમ.એમ.ની સાઈઝમાં રૃા.૨૨૦૦ જેટલા ઊંચા ભાવ હોય છે. સ્ટીલ ઉત્પાદકો જાન્યુઆરી મહિનાથી ૨૦ એમ.એમ.નાં ભાવ એટલે કે મુળ ભાવ નહીં વધારે, પરંતુ બે સાઈઝ વચ્ચેનો બદલો છે તેમાં વધારો કરવાનું આયોજન ઘડી રહ્યાં છે. બજાર સૂત્રોનું કહેવું છેકે ગુજરાતનાં સ્ટીલ ઉત્પાદકો ૮ એમ.એમ. સાથેનો બદલો રૃા.૩૦૦૦ કરશે અને અન્ય સાઈઝમાં રૃા.૪૦૦થી વધુનો વધારો કરે તેવી સંભાવનાં છે. ટેકનિકલી ઉત્પાદકો ડાય ડિફરન્સ કરીને કમાણી કરવાનો નવો રસ્તો અપનાવી રહ્યાં છે.
સ્ટીલમાં આ ફેરફાર કરવાનું કારણ શું તે અંગે બજાર સૂત્રો કહે છે કે ઉત્પાદકો એવી દલીલ કરી રહ્યાં છે કે તેને નાની સાઈઝ બનાવવામાં પડતર વધારે બેસતી હોવાથી તે બેન્ચમાર્ક  સાઈઝ સામે બદલો વધારી રહ્યાં છે. જ્યારે વપરાશકારો અને ડિલરોનો મત એવો છેકે ઉત્પાદકોને ભાવવધારો જોઈએ, ક્રૂડતેલ અને આર્યનઓર ઘટતા ભાવ ઘટવા જોઈએ એવું માનસ હોવાથી સીધો ભાવવધારો કરવો પોસાય તેમ નથી.
ડાય ડિફરન્સનો અમલ થશે તો ડિલરો અને ઉત્પાદકોને સરવાળે નુકસાની

સ્ટીલ સેકટરનાં એક અગ્રણીનું કહેવું છેકે ગુજરાતની મિલો જો ડાય ડિફરન્સ વધારીને ભાવવધારો કરશે તો રાયપૂર અને જાલનાનાં માલો ગુજરાતમાં આવતા વધી જશે. વળી ડિલરોને છત્તે પાણીએ બીજા રાજ્યનો માલ વાપરવો પડશે. પરિસ્થિતિ એવી થશે કે ૨૦ એમ.એમ. સિવાયનાં માલો માટે ડિલરો મુળ બ્રાન્ડને બદલે બીજા રાજ્યની મિલોનું સ્ટીલ વાપરશે. સરવાળે ડિલરોની માથાકુટ વધશે અને રોલિંગ મિલોને પણ વેચાણમાં નુકસાની જઈ શકે છે. વળી અત્યારે ટાટા જેવી ટોચની બ્રાન્ડમાં પણ ૨૦ એમ.એમ. અને ૮ એમ.એમ.નો બદલો રૃા.૧૬૦૦ છે, જેની સામે સ્થાનિક બદલો પહેલાથી જ ઊંચો છે.
(Date 27 dec.2014)

Pulses price may be rise 5 to 15 % in 2015

નવા વર્ષે ચણા સહિતનાં કઠોળનાં ભાવ ૫થી ૧૫ ટકા વધવાની ધારણાં

-દેશમાં ખરીફ બાદ રવિ સિઝનમાં પણ વાવેતર ઘટતા ઉત્પાદન ઘટવાનો અંદાજ
ચણા સહિતનાં કઠોળ પાકોમાં અત્યારે એકધારી તેજી જોવા મળી રહી છે. દેશમાં ચાલુ વર્ષે વાવેતર ઓછું થત્તા ઉત્પાદન ઘટ્યું હોવાથી તેજી જોવા મળી રહી છે. જાણકારોનાં મતે નવા વર્ષે ૨૦૧૫માં પણ ચણા સહિતનાં કઠોળ પાકોમાં પાંચથી ૧૫ ટકાનો વધારો થાય તેવી ધારણાં છે.
ઈન્ડિયન પલ્સીસ એન્ડ ગ્રેઈન એસોસિયેશનનાં પ્રમુખ પ્રવીણ ડોંગરે જણાવ્યું હતું કે ખરીફ સિઝનમાં સરેરાશ કઠોળનું ઉત્પાદન ૧૦ લાખ ટન ઘટ્યું હોવાનો અંદાજ છે અને રવિ સિઝનમાં પણ વાવેતર ઘટ્યું છે. પરિણામે તમામ કઠોળનાં ભાવ વધ્યાં છે. ૨૦૧૫નાં વર્ષમાં પણ ચણાનાં ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો થાય તેવી ધારણાં છે. જ્યારે વટાણા, તુવેર અને અડદ સહિતનાં અન્ય કઠોળમાં પાંચથી ૧૦ ટકાનો વધારો જોવા મળી શકે છે.
રવિ સિઝનમાં મુખ્ય કઠોળ પાક એવા ચણાનાં ભાવમાં તાજેતરમાં ઝડપી તેજી જોવા મળી છે. છેલ્લા ત્રણ મહિનામાં ભાવ ૨૬ ટકા વધીને રૃા.૩૫૦૦ની નજીક વાયદામાં પહોંચ્યાં છે. પ્રવીણ ડોંગરેનું કહેવું છેકે ખેડૂતોને ચણાનાં ભાવ પૂરતા મળતા ન હોવાથી તેઓ અન્ય પાક તરફ વળી રહ્યાં છે. ચણાનાં ટેકાનાં ભાવ રૃા.૩૧૭૫ છે અને તેની ઉત્પાદન પડતર જ રૃા.૨૯૫૦ થાય છે. ખેડૂતોને આટલા ભાવ પણ મળતા નથી.
તેમણે કહ્યું કે અમે સરકારને રજૂઆત કરી છેકે સરકાર દ્વારા પીડીએસ (પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ) માટે ચણા સહિતની કઠોળની ખરીદી કરવામાં આવે અને ટેકાનાં ભાવની સિસ્ટમ મારફતે બફર સ્ટોક પણ અનાજની જેમ ઊભો કરવામાં આવે તે જરૃરી છે.
ઉલ્લેખનીય છેકે દેશમાં ચાલુ વર્ષે ૨૬મી ડિસેમ્બર સુધીમાં કઠોળનું વાવેતર ૧૨૪ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧૩૫ લાખ હેકટરમાં થયું હતું. ચણાનું વાવેતર પણ ૯૧ લાખ હેકટરથી ઘટીને ૭૭.૮૧ લાખ હેકટરમાં થયું છે. ચણાનું ઉત્પાદન સરેરાશ ચાલુ વર્ષે ૧૫થી ૨૦ ટકા ઘટે તેવો અંદાજ છે.
ચીનમાં મગનું ઉત્પાદન ૨૦ ટકા ઘટવાનો અંદાજ
વિશ્વમાં ભારતને કઠોળ પુરૃ પાડવામાં પાંચમા સ્થાને રહેતા ચીનમાં પણ કેટલાક કઠોળનાં ઉત્પાદનમાં ચાલુ વર્ષે ઘટાડો થાય તેવી ધારણાં છે. ચીનમાં મગનું ઉત્પાદન ચાલુ વર્ષે ૨૦ ટકા ઘટીને ૬ લાખ ટન થાય તેવી ધારણાં છે. ચીનમાં રાજમાનું ઉત્પાદન વધવાને કારણે કુલ કઠોળનું ઉત્પાદન પાંચ ટકા વધીને ૪૨ લાખ ટન થાય તેવી ધારણાં છે.

ભારત કેનેડા, બર્મા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ સૌથી વધુ કઠોળની આયાત ચીનથી કરે છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતે ચીનથી કુલ ૧.૯ લાખ ટન કઠોળની આયાત કરી હતી, જે ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધીમાં ૯૫ હજાર ટનની આયાત કરી છે.
(Date 27 dec.2014)

Jeera Export price may rise more 30%

જીરૂમાં વધુ તેજીની ધારણાં - નિકાસ ભાવો ૩૦ ટકા વધવાની ધારણાં

-સિરીયા અને તુર્કીમાં પાક ઓછો હોવાથી જીરૃની ચાલુ વર્ષે ૧.૨૫ લાખ ટનની નિકાસનો અંદાજ
 
જીરૃમાં છેલ્લા બે મહિનામાં ૩૫થી ૪૦ ટકાની તેજી જોવા મળ્યાં બાદ ભાવ આગામી દિવસોમાં વધુ ૩૦ ટકા વધે તેવી ધારણાં છે.વૈશ્વિક બજારમાં જીરૃનો પાક ઓછો હોવાથી ભારતીય જીરૃની માંગ વધી હોવાથી સરેરાશ જીરૃનાં ભાવમાં તેજી જોવા મળશે.
મુંબઈનાં જીરૃનાં ટોચનાં નિકાસકારોનું કહેવું છેકે વિશ્વ બજારમાં ભારતનાં હરિફ એવા તુર્કિ અને સિરીયામાં રાજકીય અનિશ્ચિતતા અને તોફાનોને કારણે પાક ઓછો છે. તુર્કિ જેવા દેશમાં ચાલુ વર્ષે માત્ર ૧૦ હજાર ટનનો જ પાક થાય તેવી ધારણાં છે. પરિણામે ભારતીય જીરૃની માંગ વધી છે. વળી વિશ્વ બજારમાં અત્યારે ભારતીય જીરૃ જ સસ્તુ મળી રહ્યું છે, જેને કારણે તેનાં ભાવ ઊંચકાશે.
આ નિકાસકારે કહ્યું કે ભારતીય જીરૃનાં અત્યારે સરેરાશ ૨૨૦૦થી ૨૩૦૦ ડોલર પ્રતિ ટનનાં ભાવ ચાલી રહ્યાં છે, જે આગામી દિવસોમાં વધીને ૨૯૦૦થી ૩૦૦૦ ડોલરની સપાટીએ પહોંચી શકે છે. જે ભાવ છેલ્લે ૨૦૧૦નાં વર્ષમાં જોવા મળ્યાં હતાં. તુર્કીનાં જીરૃનાં અત્યારે ૩૧૦૦ ડોલર અને સિરીયાનાં ૨૯૦૦ ડોલરનાં ભાવ ચાલે છે. જેની સામે ભારતીય જીરૃ સસ્તું છે.
દેશમાંથી ભારતીય સ્પાઈસીસ બોર્ડનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે એપ્રિલથી સપ્ટેમ્બર-૨૦૧૪ દરમિયાન જીરૃની નિકાસ ૮૭,૫૦૦ ટનની  થઈ છે, જે ગત વર્ષે ૭૦૨૪૩ ટનની થઈ હતી. આમ સત્તાવાર નિકાસ ૨૫ ટકા વધી છે. સ્પાઈસીસ બોર્ડે ચાલુવર્ષ માટે એક લાખ ટનનો નિકાસ લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ તે લક્ષ્યાંક નવેમ્બર અંત સુધીમાં જ પૂરો થઈ ચૂક્યો હોવાની ધારણાં છે. માર્ચ સુધીમાં કુલ નિકાસ ૧.૨૫ લાખ ટનની સપાટીએ પહોંચે તેવી ધારણાં મુકાય રહી છે. જે એક રેકર્ડબ્રેક નિકાસ થશે.

જીરૃનાં પાક વિશે નિકાસકારોનો એવો મત છેકે છેલ્લા ત્રણેક વર્ષમાં  ખેડૂતોને પૂરતા ભાવ ન મળ્યાં હોવાથી ચાલુ વર્ષે વાવેતર ઓછું કર્યું છે, પરંતુ ૨૦૧૬ની સિઝનમાં જીરૃનું વાવેતર ફરી વધશે અને ઉત્પાદન મોટું થાય તેવી ધારણાં છે. પરિણામે જીરૃ ૨૦૧૫માં ઐતિહાસિક સપાટીએ પહોંચીને ફરી ઘટે તેવી ધારણાં છે.
(Date 27 dec.2014)

27 December 2014

Jeera price Touch Two year high touch Rs.15,000

જીરૂમાં બે વર્ષનાં ઊંચા ભાવ - વાયદો રૂા.૧૫૦૦૦ને પાર
 
બે મહિનામાં રૃા.૪૦૦૦નાં ઉછાળા બાદ હવે ભાવ ઓલટાઈમ હાઈ રૃા.૧૭૫૦૦ થવાની ચર્ચાં

જીરૃમાં નોન સ્ટોપ તેજી જોવા મળી રહી છે. જીરૃ જાન્યુઆરી વાયદામાં આજે રૃા.૧૫,૦૦૦ની જાદુઈ સપાટી જોવા મળી હતી અને ભાવ બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયાં હતાં. બજારનાં જાણકારોનું કહેવું છેકે વાયદામાં ભાવ હજુ પણ ઊંચે ચડે તેવી ધારણાં છે.
જીરૃ વાયદામાં છેલ્લા એક મહિનામાં ૨૪ ટકાનો ઉછાળો આવ્યો છે. જીરૃ જાન્યુઆરી વાયદામાં આજે ચાર ટકાની સર્કિટ લાગી હતી અને ભાવ રૃા.૪૬૫ વધીને રૃા.૧૫૦૦૦ની સપાટી પર બંધ રહ્યાં હતાં. ઇન્ટ્રા ડે રૃા.૧૫૧૧૫નાં ભાવ જોવાયાં હતાં. છેલ્લા બે મહિનામાં ભાવ રૃા.૪૦૦૦ વધી ગયાં છે.
કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેશ ભાટીયાનું કહેવું છે કે જીરૃમાં ટેકનિકલી હવે ભાવ વધીને રૃા.૧૫,૫૦૦ સુધી પહોંચે તેવી સંભાવનાં દેખાય રહી છે. રોકાણકારોએ સ્ટોપલોસ રૃા.૧૩૨૦૦નો ધ્યાનમાં રાખવો. આ સપાટી પાર થયા બાદ વધુ તેજી જોવા મળે તેવી ધારણાં છે.
મુંબઈનાં એક અગ્રણી નિકાસકારનું કહેવું છેકે ચાલુ વર્ષે ગુજરાતમાં જીરૃનું ઉત્પાદન ૬૦ ટકા અને રાજસ્થાનમાં ૨૦ ટકા ઉત્પાદન ઘટે તેવી ધારણાં છે. જીરૃની સ્થાનિક અને નિકાસ માંગ સારી છે અને પૂરવઠો ઓછો છે. વળી નવી સિઝન લેઈટ હોવાથી જૂનો સ્ટોક પિવાય જશે.  આવી સ્થિતિમાં જીરૃનાં ભાવવધીને રૃા.૧૬,૦૦૦ની સપાટીએ પહોંચી શકે છે.

ટ્રેડર વર્તુળમાં જીરૃ વિશે એવી પણ ચર્ચા સંભળાય છેકે જીરૃનાં ભાવ ચાલુ વર્ષે ફરી એક વાર ઓલટાઈમ હાઈ થાય તેવી સંભાવનાં છે. ચાલુ વર્ષે તો ફંડામેન્ટલ પણ મજબૂત છે. જીરૃ વાયદામાં છેલ્લે માર્ચ ૨૦૧૧માં રૃા.૧૭૫૨૦ની ઓલટાઈમ ઊંચી સપાટી જોવા મળી હતી.
(Date-26 Dec.2014)

All india Ravi Sowing 26 Dec.2014

દેશમાં  રવી પાકોનું વાવેતર ૨૭ લાખ હેકટરમાં ઘટ્યું
ચણાનું વાવેતર ગત વર્ષની તુલનાએ ૧૪ ટકા ઘટ્યું

દેશમાં રવિ વાવેતર વિસ્તારમાં ગત વર્ષની તુલનાએ ૨૭ લાખ હેકટરનો ઘટાડો નોંધાયો છે. તાજેતરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી પાકને ફાયદો થયો છે.
કેન્દ્રીય કૃષિ ખાતાનાં આંકડાઓ પ્રમાણે ૨૬મી ડિસેમ્બર સુધીમાં દેસમાં કુલ ૫૩૦.૨૨ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૫૫૭.૮૫ લાખ હેકટરમાં નોંધાયું હતું. ચણાનાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ ૧૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાત અને રાજસ્થાનમાં  ચણાનું વાવેતર કુલ વાવેતર ગત વર્ષની તુલનાએ ૧૨ લાખ હેકટરમાં ઘટ્યું છે.
દેશમાં તેલીબિયાં પાકોનું વાવેતર ગત વર્ષની તુલનાએ પાંચ લાખ હેકટરમાં ઘટ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં વાવેતર વિસ્તારમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો થયો હોવાથી કુલ વાવેતર વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે.
દેશમાં રવિ પાકનાં વાવેતરની સ્થિતિ
 પાકનું નામ     ચાલુ વર્ષે   ગત વર્ષે
રાયડો             ૬૩.૮૧    ૬૭.૦૧
મગફળી         ૩.૩૧      ૩.૪૮
સૂર્યમુખી         ૨.૩૫      ૩.૨૮
તલ               ૦.૫૫      ૦.૪૪
અળસી          ૨.૭૯      ૨.૭૧
તેલીબિયાં       ૭૪.૦૫    ૭૯.૦૨
ઘઉં               ૨૭૯.૬૦ ૨૮૬.૯૦
ધાન્ય પાક       ૫૦.૧૨    ૫૪.૯૯
ચણા              ૭૭.૮૧    ૯૦.૬૬
કઠોળ             ૧૨૪.૧૬ ૧૩૪.૭૨
કુલ વાવેતર     ૫૩૦.૨૨ ૫૫૭.૮૫

(આંકડાઓ લાખ હેકટરમાં ૨૬ ડિસે. સુધીનાં)

Onion price down 25% in last 5 days

ડુંગળીમાં તેજીનો યુ-ટર્ન- પાંચ દિવસમાં ૨૫ ટકાનો ઘટાડો
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નવી ડુંગળીની આવકો વધતા ભાવ તુટ્યાં

ડુંગળીમાં ડિસેમ્બર મહિનાની શરૃઆતથી શરૃ થયેલી તેજી મહિનો પૂરા થતા જ ઓસરી ગઈ છે. છેલ્લા પાંચ દિવસમાં દેશમાં ડુંગળીનાં મોટા ભાગનાં સેન્ટરમાં ભાવ ૨૫ ટકા ઘટી ગયાં છે. વેપારીઓ કહે છેકે ડુંગળીની આવકોમાં વધારો થવાને પગલે ભાવ ઝડપથી ઘટ્યાં છે, પરંતુ મોટી મંદી થાય તેવી શક્યતા ઓછી છે.
એશિયાની સૌથી મોટી મંડી લાસણગાંવમાં ડુંગળીનાં ભાવ ૧૯મી ડિસેમ્બરે સરેરાશ પ્રતિ કિવન્ટલ રૃા.૧૭૮૦નાં ભાવ હતા, જે આજે ઘટીને રૃા.૧૨૭૫ની સપાટીએ પહોંચી ગયાં છે. આવકો પણ આ સમયગાળામાં ૧૧ હજાર ક્વિન્ટલથી વધીને ૨૨ હજાર ક્વિન્ટલની થઈ ગઈ છે. આમ તેમાં ૨૮ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતમાં મહુવામાં ડુંગળીનાં ભાવ હજુ ત્રણ ચાર દિવસ પહેલા જ ૨૦ કિલોનાં રૃા.૪૦૦ની ઉપર હતા, જે આજે ઘટીને રૃા.૩૦૦થી રૃા.૩૨૦ની સપાટીએ પહોંચી ગયાં છે. મહુવામાં પણ ડુંગળીની આવકો વધીને હાલ ૩૦થી ૩૫ હજાર ગુણીએ પહોચી છે.
નાશીક અને ગોંડલનાં ડુંગળીનાં એક વેપારીએ જણાવ્યું છે કે તાજેતરમાં પ્રતિકૂળ હવામાન અને યાર્ડમાં રજાને કારણે ભાવ ઝડપથી વધ્યાં હતાં, પરંતુ હવે છેલ્લા ચાર દિવસથી બજારો રેગ્યુલર ખુલતા અને આવકોમાં વધારો થયો હોવાથી ભાવ ઝડપથી ઘટયાં છે. સરેરાશ મોટી મંદી નથી. આગળ ઉપર ડુંગળીમાં ભાવ ધીમી ગતિએ વધતા રહે તેવી સંભાવનાં છે.
ડુંગળીની નિકાસ છ માસમાં ૧૯ ટકા ઘટી
દેશમાંથી ડુંગળીની નિકાસમાં ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ૧૯.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નાફેડનાં આંકડાઓ પ્રમાણે આ સમયગાળામાં કુલ ૫.૮૯ લાખ ટન ડુંગળીની નિકાસ થઈ છે, જે ગત વર્ષે ૭.૨૯ લાખ ટન થઈ હતી.
ડુંગળીની નિકાસમાં ઘટાડા અંગે નાફેડનાં ડિરેકટર નાના સાહેપ પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની પોલિસી એવી છે કે દેશમાં ડુંગળનાં ભાવ સ્થિર રહે, જેને કારણે નિકાસમાં ઘટાડો થયો છે. બીજી તરફ દેશમાંથી ડુંગળીનાં લઘુત્તમ નિકાસ ભાવ પણ ઓછા છે, જેને કારણે પણ નિકાસમાં ઘટાડો થઈ રહ્યો છે.

નિકાસકારોનું કહેવું છે છે કે ભારતની ક્વોલિટી સારી છે, પરંતુ ઊંચા ભાવને કારણે વૈશ્વિક હરિફાઈમાં ટકી શકતા નથી. પાકિસ્તાન અને ચીન સસ્તા ભાવથી નિકાસ કરે છે. પાકિસ્તાન દુબઈમાં ટેક્સ સાથે રૃા.૧૫ પ્રતિ કિલોનાં ભાવથી નિકાસ કરે છે, જ્યારે ભારતમાં જથ્થાબંધની પડતર જ રૃા.૧૫ છે. વળી આરટીઓ વાળા ટ્રકમાં પમ ૧૦ ટનથી વધુ ડુંગળી ભરવા દેતા નથી.
(Date 26 Dec.2014)

Turmeric price Rise 42% in last 3 Month and now may be touch Rs.10,000 next few days

હળદરમાં તેજીઃ વાયદાની રૂા.૧૦,૦૦૦ થવા તરફ આગેકૂચ

-હળદર વાયદામાં છેલ્લા ત્રણ મહિનામાં ૪૨ ટકાનો જંગી ઉછાળો
.
એગ્રી કોમોડિટીમાં તેજીની રેસમાં ટૂંકાગાળા માટે જીરૃ ટોચ પર છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનાની વાત કરીએ હળદરે રોકાણકારોને માલા-માલ કરી દીધા છે. હળદર વાયદામાં છેલ્લા ત્રણ મહિનામાં ૪૨ ટકાનો જંગી ઉછાળો આવ્યો છે અને  વાયદો હવે રૃા.૧૦,૦૦૦ની સપાટી તરફ આગળ વધવા માટે મથામળ કરી રહ્યો છે.
હળદર વાયદામાં સપ્ટેમ્બર મહિનામાં રૃા.૬૦૦૦ની અંદર સપાટી જોવા મળી હતી, જે ચાલુ સપ્તાહમાં ૨૪ ડિસેમ્બરે વધીને રૃા.૮૫૮૨ની સપાટી પર બંધ રહ્યો હતો. આમ ત્રણ મહિનામાં ૪૨ ટકાનો ઉછાળો આવ્યો છે.
મુંબઈનાં બ્રોકરેજ હાઉસ કેડિયા કોમોડિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે હળદરમાં તેજીની ગાડી હજુ પણ આગળ વધે તેવી સંભાવનાં છે અને ભાવ રૃા.૧૦,૦૦૦ની સપાટી નજીક પહોંચે તેવી ધારણાં છે. હળદરમાં ૨૦૧૦નું રિપીટેશન ૨૦૧૫માં જોવા મળે તેવી પણ શક્યતા ભાવની પેટર્ન ઉપરથી જોવા મળી રહી છે. હળદરમાં ૨૦૧૦નાં વર્ષમાં ભાવ રૃા.૭૦૦૦થી વધીને રૃા.૧૫૦૦૦ થયાં હતાં.  ૨૦૦૯માં હળદરનાં ભાવ રૃા.૪૦૦૦ની અંદર હતાં. એ જ હળદર ૨૦૧૦ની રૃા.૧૫,૦૦થી ટોચેથી ગગડીને એપ્રિલ ૨૦૧૨માં રૃા.૩૫૦૦ની સપાટીએ પહોંચી હતી.
કેડિયા કોમોડિટીનાં મેનેજિંગ ડિરેકટર અજય કેડિયાનું કહેવું છેકે દેશમાં ચાલુ વર્ષ હળદરનું ઉત્પાદન ૩૫થી ૩૭ લાખ ગુણી થાય તેવો અંદાજ છે, જે ગતવર્ષએ ૫૨ લાખ ગુણીનું થયું હતું. આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં  ઉત્પાદન ઓછું થવાને કારણે કુલ ઉત્પાદન ઘટશે. નિઝામાબાદ અને વારંગલ જેવા મુખ્ય સેન્ટરમાં ઉત્પાદન ૨૨ લાખ ગુણીથી ઘટીને ૧૭  લાખ ગુણી થાય તેવો અંદાજ છે. કર્ણાટકનો પાક ૭ લાખ ગુણીથી ઘટીને ૫ લાખ ગુણી થવાનો અંદાજ છે.
ટેકનિકલી જોઈએ તો હળદર એપ્રિલ વાયદામાં રૃા.૮૦૦૦ની સપાટી પાર થયા બાદ નોન સ્ટોપ તેજી જોવા મળી રહી છે. રોકાણકારોએ રૃા.૮૦૦૦થી રૃા.૮૨૦૦નાં લેવલ ઉપર  ખરીદી કરવી અને રૃા.૭૪૦૦નો સ્ટોપલોસ  રાખીને રૃા.૮૮૦૦નો પહેલો લક્ષ્યાંક ધ્યાનમાં રાખવો. આ ટાર્ગેટ હાંસલ થયા બાદ ભાવ વધીને રૃા.૯૩૫૦ અને રૃા.૯૯૦૦ની સપાટીએ પહોંચી શકે છે.
દેશમાંથી હળદરની નિકાસ પણ વધી રહી છે. સ્પાઈસ બોર્ડે ચાલુ વર્ષે હળદરની નિકાસનો કુલ ૮૦ હજાર ટનનો લક્ષ્યાંક રાખ્યો છે, જેની સામે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે નિકાસ ૧૦ ટકા વધીને ૪૩ હજાર ટનની થઈ ચૂકી છે.
હળદર વાયદો રૃા.૧૦,૫૦૦ થશે - કોટક કોમોડિટી

કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેશ ભાટીયાએ જણાવ્યું હતું કે હળદર વાયદામાં આગામી દિવસોમાં વધુ તેજી જોવા મળશે. એપ્રિલ વાયદામાં નીચામાં રૃા.૭૮૦૦નાં લેવલ સુધી ખરીદી કરો અને રૃા.૭૩૦૦નાં સ્ટોપલો સાથે રૃા.૯૫૦૦નો પહેલો લક્ષ્યાંક છે અને ત્યાર બાદ ભાવ વધીને રૃા.૧૦,૫૦૦ સુધી પહોંચે તેવી ધારણાં છે.ચાર્ટમાં ટેકનિકલી સિમેટ્રીકલ ટ્રાયએંગલ જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે વાયદામાં એકધારી તેજી જોવા મળશે.
Turmeric last 6 years price movement

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...