27 December 2014

Onion price down 25% in last 5 days

ડુંગળીમાં તેજીનો યુ-ટર્ન- પાંચ દિવસમાં ૨૫ ટકાનો ઘટાડો
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નવી ડુંગળીની આવકો વધતા ભાવ તુટ્યાં

ડુંગળીમાં ડિસેમ્બર મહિનાની શરૃઆતથી શરૃ થયેલી તેજી મહિનો પૂરા થતા જ ઓસરી ગઈ છે. છેલ્લા પાંચ દિવસમાં દેશમાં ડુંગળીનાં મોટા ભાગનાં સેન્ટરમાં ભાવ ૨૫ ટકા ઘટી ગયાં છે. વેપારીઓ કહે છેકે ડુંગળીની આવકોમાં વધારો થવાને પગલે ભાવ ઝડપથી ઘટ્યાં છે, પરંતુ મોટી મંદી થાય તેવી શક્યતા ઓછી છે.
એશિયાની સૌથી મોટી મંડી લાસણગાંવમાં ડુંગળીનાં ભાવ ૧૯મી ડિસેમ્બરે સરેરાશ પ્રતિ કિવન્ટલ રૃા.૧૭૮૦નાં ભાવ હતા, જે આજે ઘટીને રૃા.૧૨૭૫ની સપાટીએ પહોંચી ગયાં છે. આવકો પણ આ સમયગાળામાં ૧૧ હજાર ક્વિન્ટલથી વધીને ૨૨ હજાર ક્વિન્ટલની થઈ ગઈ છે. આમ તેમાં ૨૮ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતમાં મહુવામાં ડુંગળીનાં ભાવ હજુ ત્રણ ચાર દિવસ પહેલા જ ૨૦ કિલોનાં રૃા.૪૦૦ની ઉપર હતા, જે આજે ઘટીને રૃા.૩૦૦થી રૃા.૩૨૦ની સપાટીએ પહોંચી ગયાં છે. મહુવામાં પણ ડુંગળીની આવકો વધીને હાલ ૩૦થી ૩૫ હજાર ગુણીએ પહોચી છે.
નાશીક અને ગોંડલનાં ડુંગળીનાં એક વેપારીએ જણાવ્યું છે કે તાજેતરમાં પ્રતિકૂળ હવામાન અને યાર્ડમાં રજાને કારણે ભાવ ઝડપથી વધ્યાં હતાં, પરંતુ હવે છેલ્લા ચાર દિવસથી બજારો રેગ્યુલર ખુલતા અને આવકોમાં વધારો થયો હોવાથી ભાવ ઝડપથી ઘટયાં છે. સરેરાશ મોટી મંદી નથી. આગળ ઉપર ડુંગળીમાં ભાવ ધીમી ગતિએ વધતા રહે તેવી સંભાવનાં છે.
ડુંગળીની નિકાસ છ માસમાં ૧૯ ટકા ઘટી
દેશમાંથી ડુંગળીની નિકાસમાં ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ૧૯.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નાફેડનાં આંકડાઓ પ્રમાણે આ સમયગાળામાં કુલ ૫.૮૯ લાખ ટન ડુંગળીની નિકાસ થઈ છે, જે ગત વર્ષે ૭.૨૯ લાખ ટન થઈ હતી.
ડુંગળીની નિકાસમાં ઘટાડા અંગે નાફેડનાં ડિરેકટર નાના સાહેપ પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની પોલિસી એવી છે કે દેશમાં ડુંગળનાં ભાવ સ્થિર રહે, જેને કારણે નિકાસમાં ઘટાડો થયો છે. બીજી તરફ દેશમાંથી ડુંગળીનાં લઘુત્તમ નિકાસ ભાવ પણ ઓછા છે, જેને કારણે પણ નિકાસમાં ઘટાડો થઈ રહ્યો છે.

નિકાસકારોનું કહેવું છે છે કે ભારતની ક્વોલિટી સારી છે, પરંતુ ઊંચા ભાવને કારણે વૈશ્વિક હરિફાઈમાં ટકી શકતા નથી. પાકિસ્તાન અને ચીન સસ્તા ભાવથી નિકાસ કરે છે. પાકિસ્તાન દુબઈમાં ટેક્સ સાથે રૃા.૧૫ પ્રતિ કિલોનાં ભાવથી નિકાસ કરે છે, જ્યારે ભારતમાં જથ્થાબંધની પડતર જ રૃા.૧૫ છે. વળી આરટીઓ વાળા ટ્રકમાં પમ ૧૦ ટનથી વધુ ડુંગળી ભરવા દેતા નથી.
(Date 26 Dec.2014)

Turmeric price Rise 42% in last 3 Month and now may be touch Rs.10,000 next few days

હળદરમાં તેજીઃ વાયદાની રૂા.૧૦,૦૦૦ થવા તરફ આગેકૂચ

-હળદર વાયદામાં છેલ્લા ત્રણ મહિનામાં ૪૨ ટકાનો જંગી ઉછાળો
.
એગ્રી કોમોડિટીમાં તેજીની રેસમાં ટૂંકાગાળા માટે જીરૃ ટોચ પર છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનાની વાત કરીએ હળદરે રોકાણકારોને માલા-માલ કરી દીધા છે. હળદર વાયદામાં છેલ્લા ત્રણ મહિનામાં ૪૨ ટકાનો જંગી ઉછાળો આવ્યો છે અને  વાયદો હવે રૃા.૧૦,૦૦૦ની સપાટી તરફ આગળ વધવા માટે મથામળ કરી રહ્યો છે.
હળદર વાયદામાં સપ્ટેમ્બર મહિનામાં રૃા.૬૦૦૦ની અંદર સપાટી જોવા મળી હતી, જે ચાલુ સપ્તાહમાં ૨૪ ડિસેમ્બરે વધીને રૃા.૮૫૮૨ની સપાટી પર બંધ રહ્યો હતો. આમ ત્રણ મહિનામાં ૪૨ ટકાનો ઉછાળો આવ્યો છે.
મુંબઈનાં બ્રોકરેજ હાઉસ કેડિયા કોમોડિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે હળદરમાં તેજીની ગાડી હજુ પણ આગળ વધે તેવી સંભાવનાં છે અને ભાવ રૃા.૧૦,૦૦૦ની સપાટી નજીક પહોંચે તેવી ધારણાં છે. હળદરમાં ૨૦૧૦નું રિપીટેશન ૨૦૧૫માં જોવા મળે તેવી પણ શક્યતા ભાવની પેટર્ન ઉપરથી જોવા મળી રહી છે. હળદરમાં ૨૦૧૦નાં વર્ષમાં ભાવ રૃા.૭૦૦૦થી વધીને રૃા.૧૫૦૦૦ થયાં હતાં.  ૨૦૦૯માં હળદરનાં ભાવ રૃા.૪૦૦૦ની અંદર હતાં. એ જ હળદર ૨૦૧૦ની રૃા.૧૫,૦૦થી ટોચેથી ગગડીને એપ્રિલ ૨૦૧૨માં રૃા.૩૫૦૦ની સપાટીએ પહોંચી હતી.
કેડિયા કોમોડિટીનાં મેનેજિંગ ડિરેકટર અજય કેડિયાનું કહેવું છેકે દેશમાં ચાલુ વર્ષ હળદરનું ઉત્પાદન ૩૫થી ૩૭ લાખ ગુણી થાય તેવો અંદાજ છે, જે ગતવર્ષએ ૫૨ લાખ ગુણીનું થયું હતું. આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં  ઉત્પાદન ઓછું થવાને કારણે કુલ ઉત્પાદન ઘટશે. નિઝામાબાદ અને વારંગલ જેવા મુખ્ય સેન્ટરમાં ઉત્પાદન ૨૨ લાખ ગુણીથી ઘટીને ૧૭  લાખ ગુણી થાય તેવો અંદાજ છે. કર્ણાટકનો પાક ૭ લાખ ગુણીથી ઘટીને ૫ લાખ ગુણી થવાનો અંદાજ છે.
ટેકનિકલી જોઈએ તો હળદર એપ્રિલ વાયદામાં રૃા.૮૦૦૦ની સપાટી પાર થયા બાદ નોન સ્ટોપ તેજી જોવા મળી રહી છે. રોકાણકારોએ રૃા.૮૦૦૦થી રૃા.૮૨૦૦નાં લેવલ ઉપર  ખરીદી કરવી અને રૃા.૭૪૦૦નો સ્ટોપલોસ  રાખીને રૃા.૮૮૦૦નો પહેલો લક્ષ્યાંક ધ્યાનમાં રાખવો. આ ટાર્ગેટ હાંસલ થયા બાદ ભાવ વધીને રૃા.૯૩૫૦ અને રૃા.૯૯૦૦ની સપાટીએ પહોંચી શકે છે.
દેશમાંથી હળદરની નિકાસ પણ વધી રહી છે. સ્પાઈસ બોર્ડે ચાલુ વર્ષે હળદરની નિકાસનો કુલ ૮૦ હજાર ટનનો લક્ષ્યાંક રાખ્યો છે, જેની સામે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે નિકાસ ૧૦ ટકા વધીને ૪૩ હજાર ટનની થઈ ચૂકી છે.
હળદર વાયદો રૃા.૧૦,૫૦૦ થશે - કોટક કોમોડિટી

કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેશ ભાટીયાએ જણાવ્યું હતું કે હળદર વાયદામાં આગામી દિવસોમાં વધુ તેજી જોવા મળશે. એપ્રિલ વાયદામાં નીચામાં રૃા.૭૮૦૦નાં લેવલ સુધી ખરીદી કરો અને રૃા.૭૩૦૦નાં સ્ટોપલો સાથે રૃા.૯૫૦૦નો પહેલો લક્ષ્યાંક છે અને ત્યાર બાદ ભાવ વધીને રૃા.૧૦,૫૦૦ સુધી પહોંચે તેવી ધારણાં છે.ચાર્ટમાં ટેકનિકલી સિમેટ્રીકલ ટ્રાયએંગલ જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે વાયદામાં એકધારી તેજી જોવા મળશે.
Turmeric last 6 years price movement

Government hikes 5% import duty on crude, refined edible oil

ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો
-ક્રૂડખાદ્યતેલની ડ્યૂટી વધીને ૭.૫ ટકા અને રિફાઈન્ડની ૧૫ ટકા થઈ- સરકારને રૃા.૫૦૦૦ કરોડથી વધુની આવક થશે
આખરે કેન્દ્ર સરકારે ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો કર્યો છે. દેશનાં તેલીબિયાં ઉદ્યોગની છેલ્લા ઘણા સમયથી ડ્યૂટી વધારવાની માંગ હતી, જે આંશિક સંતોષાય છે. કેન્દ્રીય કસ્ટમ વિભાગે ક્રૂડ ખાદ્યતેલની આયાત ડ્યૂટી ૨.૫ ટકાથી વધારીને ૭.૫ ટકા અને રિફાઈન્ડ ખાદ્યતેલની આયાત ડ્યૂટી ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરી છે. આમ તમામ પ્રકારનાં ખાદ્યતેલની ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો થયો છે. જોકે વર્તમાન ડ્યૂટી વધારાથી હજુ પણ દેશનો ખાદ્યતેલ ઉદ્યોગ નારાજ હોવાની લાગણી ઊભી થઈ છે.
દેશમાં ખાદ્યતેલની ઓક્ટોબરમાં પૂરી થયેલી સિઝનમાં રેકર્ડબ્રેક ૧૧૬ લાખ ટનની ખાદ્યતેલની આયાત થઈ હતી, જે અગાઉનાં વર્ષે ૧૦૪ લાખ ટનની થઈ હતી. વળી છેલ્લા પાંચ મહિનામાં દેશમાં ૫૫થી ૫૭ લાખ ટન ખાદ્યતેલની આયાત થઈ હતી, જેને કારણે તેલીબિયાં લોબી દ્વારા અનેક વાર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. દેશમાં વાર્ષિક રૃા.૬૦,૦૦૦ કરોડની ખાદ્યતેલની આયાત થાય છે, જે મુજબ રૃા.૫૦૦૦ કરોડની આવક સરકારને થશે.
કેન્દ્ર સરકાર દ્વારા ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો હોવા છત્તા દેશનો રિફાઈનરી ઉદ્યોગ સરકારનાં નિર્ણયથી નારાજ છે. તેમનાં મતે ક્રૂડ અને રિફાઈન્ડ ખાદ્યતેલ વચ્ચે ઓછામાં ઓછો ૧૫ ટકાનો ડ્યૂટી ફરક હોય તો જ દેશની રિફાઈનરીઓ ચાલુ રહી શકે છે, પરંતુ વર્તમાન પગલાથી દેશમાં ચાલુ વર્ષે ખાદ્યતેલની આયાત વધવાની પૂરે પૂરી સંભાવનાં છે. દેશની રિફાઈનરીઓ અત્યારે તેની ક્ષમતા કરતાં ૩૦થી ૩૫ ટકા જ કેપિસીટમાં ચાલુ છે.
સરકારનાં નિર્ણયને પગલે આજે તમામ ખાદ્યતેલનાં ભાવમાં ૧૦ કિલોએ રૃા.૫થી રૃ.૧૨નો વધારો જોવા મળ્યો હતો. પામતેલનાં ભાવ સરેરાશ ૧૦ કિલોએ રૃા.૧૦ વધ્યાં હતાં.

ખાદ્યતેલમાં ડ્યૂટી પાંચ ટકાનો વધારો છત્તા દેશનો રિફાઈનરી ઉદ્યોગ નારાજ
ક્રૂડ અને રિફાઈન્ડ વચ્ચે ડ્યૂટી ફરક માત્ર ૭.૫ ટકા જ હોવાથી સસ્તી આયાતનો પ્રવાહ ચાલુ જ રહેશે
કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો હોવા છત્તા દેશનો ખાદ્યતેલ-રિફાઈનરી ઉદ્યોગ નારાજ છે. આ ક્ષેત્રનાં જાણકારોનું કહેવું છેકે ક્રૂડ અને રિફાઈન્ડ વચ્ચે ૭.૫ ટકાનો જ ડ્યૂટી ફરક હોવાથી સસ્તી આયાતનો પ્રવાહ ચાલુ જ રહેશે.
ઉદ્યોગજગતને કોઈ જ રાહત થવાની નથી ઃ ડો.બી.વી.મહેતા
સોલવન્ટ એક્સટેકટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સી)નાં એક્ઝિક્યુટીવ ડિરેકટર ડો.બી.વી.મહેતાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પાંચ ટકા ડ્યૂટી વધારાથી ઉદ્યોગજગતને કોઈ રાહત થવાની નથી. અમારી સરકાર પાસે બે એન્ગલથી માંગ હતી કે એક તો ડ્યૂટી વધારો તમે ખેડૂતોનાં હીતમાં કરો અને બીજું કે રિફાઈનરી ઉદ્યોગને રાહત મળે. આ બેમાંથી ડ્યૂટી વધતા ખેડૂતોને થોડી રાહત મળશે, પરંતુ ઉદ્યોગને કોઈ ફાયદો નહી થાય. ક્રૂડ અને રિફાઈન્ડ ડ્યૂટી વચ્ચેનો ફરક ૧૫ ટકા રહે તેવી અમારી માંગ હતી અને અમે ક્રૂડ તેલ ઉપર ૧૦ ટકા અને રિફાઈન્ડ ઉપર ૨૫ ટકા ડ્યૂટી લાદવાની માંગ કરી હતી. સરકારે બંને ઉપર પાંચ ટકા વધારી છે, પરંતુ ડ્યૂટી ફરક ૭.૫ ટકા જ રહ્યો છે. પરિણામે મલેશિયા અને ઈન્ડોનેશિયા ફેબ્રુઆરીમાં જ્યારે ક્રૂડપામતેલ ઉપર નિકાસ ડ્યૂટી લાગુ પાડશે ત્યારે અહીં ૭.૫ ટકાનાં ફરકને લીધે ડ્યૂટી વધારાની અસર નીલ થઈ જશે. પાંચ ટકા ડ્યૂટી વધવા છત્તા ચાલુ વર્ષે આયાત વધીને ૧૨૫ લાખ ટને પહોંચે તેવી પૂરી સંભાવનાં છે.
અમે સરકારનાં નિર્ણય અંગે ફેર રજૂઆત કરીશું અને અમારી એ પણ માંગ છેકે ડ્યૂટી વધારાથી સરકારને કુલ રૃા.૫૦૦૦ કરોડની આવક થશે, જે નાણા તેલીબિયાંનું ઉત્પાદન વધારવા માટે અને લઘુત્તમ ટેકાનાં ભાવથી ખરીદી કરવાની  સિસ્ટમમાં ઉપયોગ થાય. ગત વર્ષે નાફેડ પાશે પૂરતું ફંડ ન હોવાથી ગુજરાત સહિતનાં દેશનાં મગફળીનાં ખેડૂતોને નુકસાન થયું હતું. જેવું ભવિષ્યમાં ન થાય તે જરૃરી છે.
મલેશિયા-ઈન્ડો. પામતેલનાં ભાવ ઘટાડશે ઃ વીજય ડાટા
સીનાં પૂર્વ પ્રમુખ વીજય ડાટાએ જણાવ્યું હતુંકે ખેડૂતોને થોડી રાહત મળશે, પરંતુ ઉદ્યોગકારોને નહીં. મેલશિયા અને ઈન્ડોનેશિયા પામતેલનાં ભાવ ઘટાડે તેવી ધારણાં છે. સરકારે ક્રૂડતેલની ૨૫ ટકા અને રિફાઈન્ડની ૩૭.૫ ટકા ડ્યૂટી વધારવી જોઈએ.
સરકારનો નિર્ણય અધકચરો છે ઃ સમીરભાઈ શાહ
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિયેશન(સોમા)નાં પ્રમુખ સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે વધારો જરૃરી હતી, પરંતુ સરકારે ઓછો વધારો ક્યો છે. સરકારનો નિર્ણય અધકચરો હોય તેવું લાગે છે. સરકારે કોઈ એવો નિર્ણય લેવો જોઈએ કે જેથી સ્થાનિક તેલનોવપરાશ વધે અને એ વધશે તો ખેડૂતોને ભાવ મળશે અને દેશમાં ઉત્પાદનમાં પણ વધારો થશે. એક તબક્કે સોયા ઉપર ૪૫ ટકા અને પામતેલ ઉપર ૮૫ ટકા ઉપરની ડ્યૂટી હતી, એની સરખામણીમાં હાલ ડ્યૂટી ઘણી ઓછી છે એટલે આયાત તો વધવાની જ છે. વળી આ વર્ષે પાક પણ ઓછો છે.
ડ્યૂટીમાં ૧૦ ટકાનો વધારો થવાની જરૃર હતીઃ બાબુલાલ ડાટા
રાજસ્થાન સ્થિત મસ્ટર્ડ ઓઈલ પ્રોડ્યુસર એસો.(મોપા)નાં પ્રમુખ બાબુલાલ ડાટાએ જણાવ્યું હતું કે ડ્યૂટી વધારાની જરૃર હતી, પરંતુ ઓછો વધારો થયો છે. ૧૦ ટકા ડ્યૂટી વધે તે જરૃરી છે. હાલમાં પણ  સ્થાનિક કરતા વિદેશી તેલ સસ્તા હોવાથી આયાત વધે તેવીપૂરી શક્યતા છે.
ડ્યૂટી ૧૫ ટકાને બદલે પાંચ ટકા જ વધી ઃ અનિલ છત્તર
જયપૂરનાં મારૃધર ટ્રેડિંગ કંપનીનાં અનિલ છત્તરે જણાવ્યું હતું ડ્યૂટી ૧૫ ટકા વધવાની ધારણાં હતી,પરંતુ પાંચ ટકા જ વધી છે. ઉદ્યોગજગતને થોડી રાહત થશે. અમુક તેલોની આયાતમાં ૧૦ ટકાનો ઘટાડો થાય તેવી ધારણાં છે.



25 December 2014

Mustardsedd price touch two year high

રાયડામાં ઊભા પાકને નુકસાનીની સંભાવનાએ વાયદો બે વર્ષની ટોચે

રાયડા બજારમાં એકધારી તેજી જોવા મળી રહી છે. રાયડા જાન્યુઆરી વાયદામાં આજે ઈન્ટ્રા ડે રૃા.૪૩૧૫ની ઊંચી સપાટી જોવા મળી હતી જે છેલ્લા બે વર્ષનાં સૌથી ઊંચા ભાવ છે. વાયદામાં  છેલ્લા ૧૦ દિવસમાં રૃા.૩૦૦નો ઉછાળો આવ્યો છે. છેલ્લા એક મહિનામાં ભાવ ૧૨ ટકા અને બે મહિનામાં ૧૬ ટકાનો ઉછાળો આવ્યો છે. એક મહિનાં પહેલા રાયડા વાયદો ૨૮મી નવેમ્બરે રૃા.૩૮૬૧ની સપાટી પર હતો.
જયપૂરનાં મારૃધર ટ્રેડિંગનાં અનિલ છત્તરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ રાયડા અને રાયડાતેલમાં તેજીનો દોર ચાલુ રહે તેવી પૂરી સંભાવનાં છે. નવો પાક લેઈટ થસે અને જૂનો સ્ટોક ઓછો પડ્યો છે, જેને કારણે ભાવ વધી રહ્યાં છે. ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારોમાં તાજેતરમાં પડેલા બરફ અને હીમપાતને કારણે પાકને નુકસાની થવાની પણ સંભાવનાં દેખાય રહી છે. જેને કારણે ચાલુવર્ષે ઉત્પાદન ૧૫થી ૨૦ ટકા ઘટે તેવી ધારણાં છે.

રાયડા વાયદા વિશે બ્રોકરેજ હાઉસનાં એનાલિસ્ટોનું માનવું છેકે આગામી દિવસોમાં ભાવ વધીને રૃા.૪૪૦૦ની સપાટી પાર કરી  શકે છે. પાકને જો વધુ નુકસાન થશે તો વાયદો રૃા.૪૫૦૦ની ઉપર પણ પહોંચે તેવી સંભાવનાં છે.

Palmoil price may rise to 19% in next 3 month

પામતેલ વાયદામાં ત્રણ મહિનામાં ૧૯ ટકાનો ઉછાળો આવશે ઃ એનાલિસ્ટો

-એમસીએક્સ પામતેલ વાયદામાં પણ ભાવ વધીને રૃા.૪૬૦-૪૮૦ થવાની આગાહી


પામતેલ વાયદામાં છેલ્લા થોડા દિવસથી તેજી જોવા મળી રહી છે. વિશ્વનાં ટેકનિકલ એનાલિસ્ટોનું માનવું છેકે મલેશિયન પામતેલ વાયદામાં વર્તમાન ચાલ જોતા આગામી ત્રણ મહિનામાં ભાવ ૧૯ ટકા વધે તેવી ટેકનિકલ ચાલ બતાવે છે.
ટેકનિકલ એનાલિસ્ટોનું કહેવું છેકે મલેશિયન પામતેલ વાયદો આગામી ત્રણ મહિનામાં વધીને ૨૬૪૯ રિગિંટની ઊંચી સપાટીએ પહોંચી શકે છે. આ માટે મહત્તવનું રેઝિસ્ટન્સ લેવલ ૨૩૩૮ રિગિંટની સપાટી છે. બેન્ચમાર્ક માર્ચ વાયદો આજે ૧૦ રિગિંટ વધીને ૨૨૧૯ રિગિંટની સપાટી પર બંધ રહ્યો હતો.
ફિબોનેક્કી રિટ્રેચમેન્ટ પધ્ધતિ પ્રમાણે મલેશિયન પામતેલ વાયદામાં ૨૮મી ઓક્ટોબર ૨૦૦૮નાં રોજ ૧૩૩૧ રિગિંટની સપાટીથી ભાવ વધીને ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૧નાં રોજ ૩૯૬૭ની હાઈ જોવા મળી હતી. જે ૬૧.૮ ટકાનો ઉછાળો બતાવે છે. આ રેન્જમાં ૫૦ ટકાનાં લેવલે ૨૬૪૯ રિગિંટની સપાટી થાય છે જે લેવલ આગામી ત્રણ મહિનામાં જોવા મળી શકે છે. મલેશિયન વાયદો બીજી સપ્ટેમ્બરનાં રોજ ૧૯૧૪ રિગિંટની સપાટીથી એકધારો સુધરી રહ્યો છે. બીજી એક ચાલ એવી પણ છે કે ૩૯૬૭થી તેજી-મંદીનાં પાંચ વેવ પ્રમાણે પણ વાયદો વધીને ફરી ૨૬૪૯ રિગિંટ સુધી પહોંચી શકે છે. તેજીની સાઈકલનો સમય અને ભાવ જોતા પણ ૨૩૩૮ રિગિંટની સપાટી જોવા મળી શકે છે.
બીજી તરફ સ્થાનિક વાયદામાં પણ તેજીની સંભાવનાં ટેકનિકલ એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યાં છે. કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેેશ ભાટીયાનું કહેવુું છેકે ડોજી પેટર્ન પ્રમાણે જાન્યુઆરી ક્રૂડપામતેલ વાયદો વધીને રૃા.૪૪૨ અને ત્યાર બાદ રૃા.૪૬૨ સુધી જઈ  શકે છે. સ્ટોપલોસ રૃા.૪૧૫ ધ્યાનમાં રાખવો. જાન્યુઆરી વાયદો આજે રૃા.૪૩૫ પર બંધ રહ્યો હતો.
કેડિયા કોમોડિટીનાં મેનેજિંગ ડિરેકટર અજય કેડિયાનું કહેવું છે કે ક્રૂડપામતેલ વાયદો વધીને રૃા.૪૬૦ની સપાટી પર પહોંચશે. આ લેવલ વટાવશે તો ભાવ વધીને રૃા.૪૮૦ સુધી પણ જઈ શકે છે. સ્ટોપલોસ રૃા.૪૧૫નો ધ્યાનમાં રાખવો.

Jeera Price Rise Rs.2500 in one Month

જીરૂમાં તેજી, મહિનામાં રૂા.૨૫૦૦નો ઉછાળો

-ગુજરાત અને રાજસ્થાનમાં વાવેતરમાં કાપને પગલે તેજીનો માહોલ
-ઉત્પાદન ઘટવાની ધારણાએ વાયદો મહિનામાં ૨૦ ટકા ઊંચકાયો

જીરૃમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં જીરૃનાં વાવેતરમાં ઘટાડો થયો હોવાથી જીરૃનાં ભાવમાં છેલ્લા એક મહિનામાં ક્વિન્ટલે રૃા.૨૫૦૦નો ઉછાળો આવ્યો છે. જાણકારોનું કહેવું  છેકે વાવેતર તો ઘટ્યું છે, પરંતુ નિકાસ પણ વધી રહી હોવાથી ભાવ હજુ પણ ઊંચકાશે.
જીરૃ જાન્યુઆરી વાયદામાં આજે ચાર ટકાની તેજીની સર્કિટ લાગતા ભાવ રૃા.૫૫૫ વધીને રૃા.૧૪૫૩૫ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ૨૫મી નવેમ્બરનાં રોજ રૃા.૧૨૧૦૦ હતાં. આમ એક મહિનામાં ૨૦ ટકા અથવા તો રૃા.૨૫૦૦નો ઉછાળો આવ્યો છે. ફેબ્રુઆરી વાયદો આજે વધીને રૃા.૧૫૦૦૦ની ઉપર પહોંચી ગયો હતો.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે રાજ્યમાં ૨૨મી ડિસેમ્બર સુધીમાં જીરૃનું વાવેતર ૪૩ ટકા ઘટીને ૨.૫૦ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૪.૪૦ લાખ હેકટરમાં થયું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવેતર ૫૦ ટકા કપાયુ છે. કચ્છમાં ગત વર્ષે ૩૧૯૦૦ હેકટર સામે ચાલુ વર્ષે માત્ર ૪૭૦૦ હેકટકરમાં વાવેતર થયું છે. ગુજરાત સરકારનાં અંદાજો પ્રમાણે રાજ્યમાં ગત વર્ષે ૪.૫૫ લાખ હેકટરમાં વાવેતર અને ૩.૪૬ લાખ ટન ઉત્પાદન થયું હોવાનો અંદાજ છે.
રાજસ્થાનમાં પણ સત્તાવાર આંકડાઓ પ્રમાણે અત્યાર  સુધીમાં ૩.૩૯ લાખ હેકટરમાં વાવેતર થયું છે.બે વર્ષ અગાઉ ૪.૯૫ લાખ હેકટરમાં થયું હતું.

કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેશ ભાટીયાએ જણાવ્યું હતું કે જીરૃ વાયદામાં હજુ પણ તેજી જોવાશે અને જાન્યુ.વાયદો વધીને રૃા.૧૫૫૦૦ સુધી જઈ શકે છે. સ્ટોપલોસ રૃા.૧૩૨૦૦નો ધ્યાનમાં રાખવો.

24 December 2014

Trader Avoid new Basmati Rice Selling due to low price

જૂના બાસમતી ચોખાનાં જંગી સ્ટોકથી નવા ચોખાનું વેચાણ ટાળતા ટ્રેડરો

-નવા-જૂના ચોખા વચ્ચેનો બદલો રૃા.૪૦નો થતા વેપારીઓને નુકસાની ઃ નવા ચોખામાં પણ બ્રાન્ડ-નોન બ્રાન્ડ વચ્ચે મોટો બદલો

દેશમાં ચાલુ વર્ષે બાસમતી ચોખાનાં ભાવમાં જંગી ઘટાડો થવાને પગલે ટ્રેડરો નવા ચોખાનું વેચાણ ટાળી રહ્યાં છે. ગુજરાત સહિતનાં દેશનાં ટ્રેડરો પાસે જૂના બાસમતી ચોખાનો મોટો સ્ટોક પડ્યો હોવાથી તેમને જંગી નુકસાની સહન કરવી પડી રહી છે.
ઈરાનમાં બાસમતી ચોખાની નિકાસ ઘટી હોવાથી અને દેશમાં પણ મોટો પાક થયો હોવાથી સરેરાશ ગત વર્ષની તુલનાએ નવા ચોખામાં કિલોએ રૃા.૪૦થી ૪૫નો ઘટાડો થયો છે. નવા ચોખાની સિઝન આવી ગઈ હોવા છત્તા હજુ ઘણા સ્ટોર-મોલ કે છૂટક વેપારીઓને ત્યાં નવા ચોખાને બદલે જુના ચોખાનું વધારે વેચાણ થઈ રહ્યું છે. નવા અને જૂના ચોખા વચ્ચે બ્રાન્ડેડ ક્વોલિટીમાં તો રૃા.૫૦થી પણ વધુનો ભાવ બદલો છે.
ડીસાનાં ચોખાનાં ટ્રેડર એવા હિમાંશુભાઈ ભટ્ટે જણાવ્યું કે વેપારીઓ પાસે જૂના ચોખાનો સ્ટોક વધારે છે અને નવા ચોખાનાં ભાવ નીચા છે. વળી ગત વર્ષે મોટી તેજીને કારણે ટ્રેડરોએ ધારણાં કરતા પણ વધારે ખરીદી કરી હતી. પરિણામે હાલ આ સ્થિતિ ઊભી થઈ છે.
તેમણે કહ્યું કે ચાલુ વર્ષે નીચા ભાવને કારણે બ્રાન્ડેડ અને નોન બ્રાન્ડેડ બાસમતી ચોખા વચ્ચેનો બદલો પણ મોટો છે. હરિયાણા બાજુની કેટલીક નોન બ્રાન્ડેડ મિલોનાં સારી ક્વોલિટીનાં આખા ચોખાનાં ભાવ કિલોનાં રૃા.૬૫ ચાલે છે, જેની સામે બ્રાન્ડેડવાળાનાં ભાવ રૃા.૯૦થી ૯૫ ચાલી રહ્યાં છે.

અમદાવાદનાં એક અન્ય ચોખાનાં ટ્રેડરે કહ્યું કે નવા બાસમતી ચોખાની આવકો હજુ પંદર દિવસ પછી વધી શકે છે. પ્રથમ તબક્કામાં ટ્રેડરો જૂના ચોખાનું વેચાણ કરવા માંગે છે. કેટલાક મોલવાળા પણ અત્યારે સ્કીમો કાઢીને જૂનો સ્ટોક ખાલી કરવાનાં મૂડમાં છે. જૂનો સ્ટોક ખાલી થયા બાદ નવા ચોખાનો જથ્થો બજારમાં વધે તેવી ધારણાં છે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...